![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/untitled_1600760458.jpg)
સુરતમાં દરરોજ 100-150 કોરોના ટેસ્ટ કરતા 250 ધન્વંતરી રથનાં પૈડાં થંભ્યાં, લગભગ બે મહિનાથી ભાડું ન મળતાં વાહનચાલકોમાં રોષ
શહેર જિલ્લામાં દરરોજ 250થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેર જિલ્લામાં 250થી વધુ ધન્વંતરી રથનાં કોરોના ટેસ્ટિંગ માટે વાહનો ફરી રહ્યાં છે. આ રથ રોજના 100-150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. જોકે આ વાહનોનું ભાડું ન મળતાં ચાલકો હડતાળ પર ઊતરી આવ્યા છે.
સુરતમાં કોરોના મહામારી બાદ અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાની તપાસ માટે શરૂ કરાયેલા ધન્વંતરી રથનું ભાડું ન ચૂકવાતાં વાહનમાલિકો હડતાળ પર ઊતરી ગયા છે. છેલ્લા 53 દિવસથી ઉધાર રૂપિયા લાવી CNG ભરાવી ગાડી ચલાવતા હોવાનું જાણતા હોવા છતાં મહિલા કોન્ટ્રેકટર આંખ આડા કાન કરી રહ્યાં હોવાનું પીડિત વાહનચાલકોએ જણાવ્યું છે. સુરતમાં લગભગ 250થી વધુ ધન્વંતરી રથનાં પૈડાં થંભી જતાં ભારે હાલાકીના અણસાર દેખાય રહ્યા છે.
માજીદ ખાન (પીડિત વાહનચાલક)એ જણાવ્યું હતું કે જુલાઈ મહિનાથી અમારી ગાડી ધન્વંતરી રથ તરીકે કોન્ટ્રાક્ટમાં ચલાવી રહ્યા છે. રોજના 100-150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. સુરતના તમામ વિસ્તારોમાં આ રથ કામ કરી રહ્યો છે. 250 જેટલા રથચાલકોને દર મહિને 17000 હજાર આપવાની વાત કરાઈ હતી. જોકે બે મહિનાથી એક પણ રૂપિયો અપાયો નથી. ત્રણથી ચાર વાર રજૂઆત કરી ચૂક્યા છે, પણ કોઈ ધ્યાન અપાયું નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આખરે ઉધારી માથે ચઢી જતાં આ નિર્ણય લેવા મજબૂર બન્યા છે. હવે આગળ ચાલી શકાય એમ નથી, એટલે હડતાળ પર જવાનો રસ્તો અપનાવ્યો છે. આ બાબતની જાણ થયા બાદ મહિલા કોન્ટ્રાકટર કહે છે, થોભો પોલીસ બોલાવી છે. એનો મતલભ એ થયો કે હવે અમને પોલીસનો ડર બતાવી કામ કરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.