હવાલા કાંડમાં ભૂતપૂર્વ IASની ઈડીએ પૂછપરછ કરતા ગાંધીનગરમાં દોડધામ
ગુજરાતના એક ભૂતપૂર્વ વરિષ્ઠ સનદી અધિકારીની હવાલાકાંડ અને અન્ય નાણાંકીય ગેરવહીવટના કેસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા પૂછપરછ શરૂ થઇ હોવાના અહેવાલને લઇને હાલ ગુજરાતની પાવરલોબીમાં દોડધામ શરૂ થઇ ગઇ છે. મૂળભૂત રીતે આ કેસ એક વર્ષ જૂનો છે અને તેમાં ગુજરાતના એક ટોચના રાજકારણીની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાઓ છે. જોકે હાલ આ બાબતે કોઇ સત્તાવાર સમર્થન નથી.
આ અધિકારી અને ટોચના રાજકારણીને ખૂબ સારો મેળ હોવાથી તેઓએ કોઇ એક મોટી કંપનીના ફાયદામાં આ હવાલાકાંડ કર્યું હોવાની ચર્ચા છે. રાજકારણીના પત્નીને ગુજરાતના જ કોઇ વરિષ્ઠ અધિકારીના બેંકિંગ વ્યવસાય સાથે સંકળાયેલા પુત્રે આ મામલે મદદ કરી હોવાની ચર્ચાઓ છે. હાલ કોઇ પણ અધિકારી કે સરકારના પ્રતિનિધિ કંઈ બોલવા તૈયાર નથી.
આ મામલામાં નિવૃત્તિ બાદ ગુજરાત બહાર સ્થાયી થયેલાં આ સનદી અધિકારીને ઇડીએ સમન્સ પાઠવ્યા હતા અને તેમની દિલ્હીમાં જ પૂછપરછ પણ કરાઈ હતી. એક ખૂબ વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ કેસમાં રાજકીય વ્યક્તિની પણ ભૂમિકા હોવાથી જો રાજકીય ઇરાદાથી આ સમગ્ર તપાસ શરૂ કરાઈ હશે તો આ ઘટનાની અસરો ખૂબ મોટી હોઇ શકે. હાલ તેમને ભૂતપૂર્વ સનદી અધિકારીની જ પૂછપરછ થઇ હોવાનું જાણવા મળ્યું છે.