![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/corona_virus_post.jpg)
અમદાવાદમાં ગુજરાતી ન્યૂઝ ચેનલોના ૫ પત્રકારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રખેવાળ, અમદાવાદ
અમદાવાદ. કોરોનાના કહેરમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ તરીકે કામ કરી રહેલા અમદાવાદના પાંચ પત્રકરોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પત્રકાર આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર વિશ્વમાં કહેર મચાવનાર કોરોના ગુજરાતમાં પણ કહેર મચાવી રહ્યો છે, આ મહામારીના સમયમાં આખું ગુજરાત લોકડાઉન છે ત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે એટલે કે પ્રજાની સેવામાં ખડેપગે ડૉક્ટર, પોલીસ અને હોસ્પિટલ સ્ટાફની સાથે મીડિયા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. આ સંજોગોમાં ડોક્ટર અને પોલીસમાં કોરોના પોઝિટિવના કેસો શરૂ થઈ ગયા હતા. તેની સાથે સાથે હવે પત્રકારો પણ કોરોનાની ઝપટમાં આવવા લાગ્યા છે.
અમદાવાદની અલગ અલગ ન્યૂઝ ચેનલમાં કામ કરતા ૫ પત્રકારોનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પત્રકાર જગતમાં હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ કેટલાક પત્રકારો કોરોના પોઝિટિવ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હતા. આ તમામ પત્રકારોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારે તમામના પત્રકારોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.