![CORONA](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/Feb27_2020_CDC_Coronavirus.jpg)
સુરત માં વધુ એકનું મોત થતા મૃત્યુઆંક ૪૧ પર પહોંચ્યો, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૯૮૪ થઈ ગઈ
સુરત : મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૯૮૪ થઈ ગઈ છે. જ્યારે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં એક પણ કેસ ન નોંધાતા જિલ્લાના આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો હતો. આ સાથે શહેર જિલ્લામાં ૫૪ વર્ષીય પુરૂષનું મોત થતા કુલ મૃત્યુઆંક ૪૧ થઈ ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫૬૦ દર્દીઓએ કોરોનાને માત આપી છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ફરી એક વખત કોરોના સામે યુદ્ધ લડી રહેલા કોરોના વોરિયર્સનો સમાવેશ થયો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, મસ્કતી હોસ્પિટલમાં સફાઈની કામગીરી કરતા સફાઈ કામદાર અને બેંક મેનેજર તેમજ પરવત ગામ વિસ્તારમાં રહેતી શિક્ષીકા અને તેમની પુત્રી સહિત પરિવારના ૩ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને આજે (બુધવાર) સવારે ૭ કલાકથી શાકભાજી, ફળ લાવવાની પરવાનગી અપાઇ છે. પરંતુ તેનું વેચાણ ૧૩મીએ રાત્રે ૧૨ કલાક પછી કરી શકશે.૧૪ મે ના રોજ સવારે ૮ કલાકથી કેરીનું વેચાણ કરી શકશે, પરંતુ અગાઉથી નક્કી કરેલો કેરીનો જથ્થો ૧૦ અને ૨૦ કિલોના પૈકીંગમાં જ વેચાણ કરવાનું રહેશે. વેચાણ દરમિયાન કેટલીક શરતો પાલિકા કમિશનરે બનાવી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. શાકભાજીના છુટક વેચાણ માટે પાલિકા દ્વારા તમામ ઝોનમાં ખુલ્લા પ્લોટ ફાળવવામાં આવ્યા છે તે પ્લોટ પર તથા પ્લોટની બાજુમાં ૮૦ ફૂટ અથવા ૮૦ ફૂટ થી વધારે પહોળાઈના જાહેર રસ્તા ઉપર ત્રણ કિલો મીટર જેટલા સુધી વેચાણ કરી શકશે. બે લારી, સ્ટોલ, ટેમ્પો વચ્ચે ઓછામાં ઓછું ૧૦ મીટરનું અંતર રાખવાનું રહેશે.