લો બોલો.. સુરતમાં સામાન્ય સિગારેટ બાબતે યુવકની હત્યા, ત્રણ દિવસ બાદ કેસ ઉકેલાયો
પાંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત ગાર્ડનમાં ત્રણ દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. હત્યા તેના મિત્ર કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી મિત્રને ઝડપી પાડયો છે. જેમાં તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે મરનાર યુવકે આરોપી પાસે સિગારેટ મંગાવી હતી. જેમાં બોલાચાલી બાદ ઝઘડો થતા માથામાં લાકડાના ફટકા માર્યા હતા, જેને લઇ યુવકનું મોત નીપજ્યું હતું.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત મદનલાલ ધીંગરા ગાર્ડનમાંથી ગત 18મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન બેભાન લોહીથી લથપથ હાલતમાં એક યુવક ગાર્ડનના સિક્યુરિટી ગાર્ડને મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જોકે, યુવકને ગંભીર ઇજાઓ થતાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.