દીપડાનો આતંક: વાંકાનેરના જાલસીકા ગામે ત્રણ જેટલા દીપદાઓએ કર્યો ખેડૂત ઉપર હુમલો
વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના વાડી વિસ્તારમાં ત્રણ જેટલા દીપડાઓએ એક ખેડૂત ઉપર હુમલો કર્યો હોવાની વનવિભાગને ખેડૂતે ફરિયાદ કરતા વનવિભાગે હાલમાં ફરિયાદી ખેડૂતની વાડી આસપાસ પાંજરું ગોઠવ્યું છે. જો કે રાની પશુ દીપડા હમેશા એકલા વિહાર કરતા હોય છે અને સમૂહમાં વિચરણ કે મારણ નહીં કરતા હોવા છતાં હાલ આ મામલે વન વિભાગે ગંભીરતા દાખવી દીપડાના સગડ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના વાંકાનેરના જાલસીકા ગામના હેમંતભાઈ ડાંગર નામના ખેડૂત રાત્રીના સમયે પોતાની ખેતરે હતા ત્યારે ત્રણ દીપડાઓએ હુમલો કર્યો હતો. જેથી ખેડૂતે વાડીની અગાસીએ ચડી ગયા અને પોતાનો જીવ બચાવ્યો હોવાનું વન વિભાગને ફરિયાદ કરી જણાવ્યું હતું.
આ મામલે વાંકાનેર વન વિભાગના અધિકારી પી.પી. નરોડીયાએ જણાવ્યું કે, ખેડૂતની ફરિયાદ બાદ તેમના ખેતરની નજીક પાંજરું મુકવામાં આવ્યું છે. વનવિભાગ દ્વારા ખેડૂતના ખેતર આસપાસના વિસ્તારમાં તપાસ કરતા હાલમાં દીપડાના કોઈ ચીન્હ મળ્યા ન હોવાનું પણ વનવિભાગે ઉમેર્યું હતું. મહત્વનું છે કે આ પહેલા ખેડૂત હેમંતભાઈની વાડીમાં દીપડાએ હુમલો કરી પશુઓનું મારણ કર્યું હોવાનું અને વન વિભાગે વળતર પણ ચૂકવી દીધાનું જાણવા મળે છે. બીજી તરફ એક સાથે ત્રણ ત્રણ દીપડાએ હુમલો કર્યો હોવાની આ ઘટનામાં વન વિભાગના અધિકારી પી.પી.નરોડીયાએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં દીપડો એકલો જ વિચરણ કરતો હોય છે. બચ્ચા વાળી માદા હોય તો જ સમૂહમાં જોવા મળતા હોય છે પરંતુ ખેડૂતની ફરિયાદને પગલે હાલમાં વનવિભાગે ગંભીરતા દાખવી દીપડાના સગડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં પહેલા પણ અનેકવાર દિપડા જોવા મળી ચુક્યા છે, ત્યારે હાલ દિપડો જોવા મળતા ખેડૂતને ખેતરે કામ કરવામાં પણ તકલીફ પડી રહી છે.