![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/06-4.jpg)
વડોદરાની જોય ઈ-બાઈક બનાવતી કંપની પર ઈન્કમ ટેક્સના દરોડા
વડોદરામાં જોય-ઈ બાઈક બનાવતી ટુ-વ્હીલર કંપની વોર્ડ વિઝાર્ડમાં આજે વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આવકવેરા ટીમ દ્વારા સવારથી જ કંપનીના મુખ્ય પ્રોડક્શન પ્લાન્ટ સહિત કંપનીના CMDના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ કાર્યવાહીના અંતે મોટી કરચોરી બહાર આવે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે.વડોદરા સ્થિત આ કંપની જોય બ્રાન્ડથી ઇ-બાઇક બનાવે છે અને તે બેટરી સંચાલિત ટુ-વ્હીલર બનાવતી કંપની છે. આ કંપની ખૂબ જ જાણીતી છે કારણ કે, તે અવારનવાર ગરબા, મેરેથોન જેવી ઇવેન્ટ્સમાં સ્પોન્સરશીપ કરે છે. આ સાથે જ જાણીતા બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ કંપનીની મુલાકાત લીધી હતી. હાલમાં આ કંપનીના મુખ્ય પ્રોડક્શન પ્લાન્ટ, CMD હાઉસ પર મોટાપાયે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ કંપનીના મુખ્યત્વે મકરપુરા, સયાજીગંજ, વડસર અને હરીનગર વિસ્તારમાં આઇ.ટી વિભાગે સર્ચ હાથ ધર્યું છે.
હાલમાં આવક વેરા વિભાગ દ્વારા કંપનીના વિવિધ ઠેકાણે કાર્યવાહી ચાલી રહી છે. જ્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગએ સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડાની કામગીરી શરૂ કરી છે અને કંપનીના દસ્તાવેજો અને બેન્ક એકાઉન્ટ સહિતની વિગતોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા પાયે કાળું નાણું પકડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.આ અગાઉ 7 મહિના પહેલા વડોદરામાં બે કેમિકલ કંપની, ઓફિસો અને ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો સહિત 7 જેટલા સ્થળો ઉપર આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કામગીરી દરમિયાન કરોડો રૂપિયાની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી અને 40 જેટલા બેંક લોકરો સીઝ કરવામાં આવ્યા હતા.