સુરતમાં પોઝિટિવ કેસનો આંક ૧૭૨૫ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૭૨ અને રિકવરી આંક ૧૧૪૭
રખેવાળ, સુરત
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૧૭૨૫ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ગંભીર બીમારીઓ સાથે કોરોના સામે લડી રહેલા કુલ ૭૨ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ગતરોજ શહેરમાં ૨૨ અને જિલ્લામાં ૫ મળી ૨૭ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. જેથી રિકવરી આંક ૧૧૪૭ પર પહોંચ્યો છે.
દર્દીઓમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. સરેરાશ દર્દીઓમાં ૨૫થી ૩૦ ટકા દર્દીઓ સારવાર માટે છેલ્લી ઘડીએ એટલે કે તબિયત વધુ લથડ્યા બાદ આવે છે. જેને કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના ડોક્ટર અમિત ગામીએ જણાવ્યું હતું.
મહિધરપુરા પોલીસ સ્ટેશનના ૫૧ વર્ષિય એએસઆઈ મગન રણછોડ બારીયાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ રવિવારે સાંજે પોઝિટિવ આવ્યો હતો. મગન બારીયા પોઝિટિવ આવતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. મગન બારિયા સાથે છેલ્લા અઠવાડિયામાં નોકરી કરનાર ૧૫ પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. ઉલ્લેખનિય છે ફ્રન્ટ લાઇનર્સ લોકોના સંપર્કમાં આવતા વધુ સંક્રમિત થઇ રહ્યાં છે.
૭ દિવસથી ન્યુમોનિયા હતોસુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કથિરીયા(છોડવડીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, એસડીએના પ્રમુખ છેલ્લાં ૭ દિવસથી ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યા હતા. ડોક્ટરની સલાહ અનુસાર કોવિડનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનું રવિવારે પરિણામ પોઝિટિવ આવ્યું હતું. હાલ તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, સુરત ડાયમંડ એસો. દ્વારા લોકડાઉનના સમય દરમિયાન વિવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમજ માર્કેટો ખોલવા રજૂઆતો કરી હતી.