![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/COVID-19_test.jpg)
ભાવનગરમાં એકસાથે આઠ પોઝિટિવ કેસ નોંધાયા,એકનું મોત નીપજ્યું.
ભાવનગરમાં કોરોનાનો વિસ્ફોટ થતા એકસાથે આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે અને એકનું મોત નીપજ્યું છે. ભાવનગરમાં રહેતાં સિધ્ધિ સાઠીયા (ઉં.વ. 24), મેઘાણી સર્કલ અખાડા પાસે રહેતા નેહાબેન ચિરાગભાઇ ધંધૂકીયા (ઉં.વ. 34), ચિરાગભાઇ દિનેશભાઇ ધંધૂકીયા (ઉં.વ. 43), આડોડીયાવાસમાં રહેતા સ્વિમ રવિન્દ્ર ઇંદ્રે (ઉ.વ.15), નેન્સી સંજયભાઈ (ઉં.વ. 20) આ તમામની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદની છે . ગારીયાધાર મોટા ચારોડીયા ગામે રહેતાં અને અગાઉ પોઝિટિવ આવેલાના પિતા દોહાભાઇ વલ્લભભાઇ (ઉં.વ.62), અલકા ટોકીઝ પાસે રહેતા સવિતા સવજીભાઈ ડોડીયા ( ઉં.વ.62), ઉમરાળાના લીમડા ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ ઝાલા (ઉં.વ. 35) આ આઠના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે આનંદનગર ESIS હોસ્પિટલ પાસે રહેતા ધનજીભાઈ ઘુડાભાઈ સોલંકી (ઉં.વ.66)નો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. વધુ 8 પોઝિટિવ કેસ આવતા આંક 150 પર પહોંચ્યો અને મૃત્યુઆંક 11 થયો છે.
ભાવનગરમાં 3 વર્ષથી લઇને 88 વર્ષીય મહિલા સહિત ચાર દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ભાવનગર સરિતા સોસાયટીમાં રહેતા આશિષભાઇ અરૂણભાઇ ભલાણી (ઉં.વ 30), દિપીકાબેન આશિષભાઇ ભલાણી (ઉં.વ. 28), સત્ય આશિષભાઇ ભલાણી (ઉં.વ. 3) અને ભરતનગર પુષ્પક સોસાયટીમાં રહેતાં લીલાવતીબેન હસમુખભાઇ રાઠોડ (ઉં.વ.88)નો સમાવેશ થાય છે. આ ચારમાંથી ત્રણ તો પતિ-પત્ની અને તેનો પુત્ર છે.
3 દિવસ પહેલા ભડભીડ ગામેથી 3 આરોપીઓ દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. જેમાંથી અમદાવાદ રહેતો જગદીશ ગોવિંદભાઈ પઢીયાર નામના આરોપીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેની સાથેના 2 આરોપીને સમરસમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. સમરસમાં 2 આરોપીને ક્વોરન્ટીન કરાયેલા હતા જે ગત મોડી રાત્રે તકનો લાભ ઉઠાવી ફરાર થઈ જતા પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. ફરાર આરોપીઓમાં રાજીવ જ્ઞાનસિંહ રાણા રહે. ખસરા બુરાહી દિલ્હી અને સિદ્ધરાજસિંહ બળદેવસિંહ ઝાલા રહે લાંભા ગામ, તા. દસ્ક્રોઈ જિલ્લો અમદાવાદનો સમાવેશ થાય છે.