![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/02/ff-1.png)
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની UPL કંપનીમાં જોરદાર બ્લાસ્ટ સાથે આગ, 2 કામદારોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત
ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપનીમાં સોમવારે મધરાત્રિના સમયે જોરદાર બ્લાસ્ટ થતાં 2 કામદારોના મોત થયા છે તો 40થી વધુ કામદારો ઈજાગ્રસ્ત બન્યા છે. હજી પણ 3 કામદારો લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. દુર્ઘટના બાદ 5 કામદારો લાપત્તા હતા જેમાંથી શુક્લતીર્થના વનરાજસિંહ ડોડીયા અને અવિધાના નેહલ મહેતાના મૃતદેહ મળી આવ્યા છે. મધરાત્રિના થયેલો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, 20 કીમીના વિસ્તારમાં રહેતાં લોકોએ ભુકંપનો આંચકો આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. જોરદાર ધડાકાના કારણે આસપાસના વિસ્તારના ઘર અને ઓફિસોના બારી દરવાજાના તૂટી ગયા હતા.
ઝઘડિયા જીઆઇડીસીમાં ફોસ્ફરસ બનાવતી યુપીએલ કંપની આવેલી છે. કંપનીમાં સોમવારે રાત્રિના સમયે રાબેતા મુજબ ઉત્પાદનની કાર્યવાહી ચાલી રહી તે વેળા રાત્રિના 2.30 વાગ્યાના અરસામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે જીઆઇડીસીને અડી આવેલાં દધેડા, ફૂલવાડી, કપલસાડી સહિતના ગામોમાં આવેલાં મકાનોમાં કાચ તુ્ટયાં હતાં. આ ઉપરાંત બ્લાસ્ટની ધ્રુજારી છેક અંકલેશ્વવર સુધી અનુભવવામાં આવી હતી.
લોકોએ ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવાયાં હતાં. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બ્લાસ્ટની જાણ થતા કંપનીમાં કામ કરતા કામદારોના પરિવારજનો કંપની પર અને હોસ્પિટલ દોડી ગયા હતા.
આ દુર્ધટના અંગે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને ભોગ બનેલા લોકોનો સહાયતાની માંગ કરી હતી.