![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/08/Untitled-71.jpg)
અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ બોલ્યાં કે, ‘ગુજરાતમાં ભાજપને 182 બેઠક મળશે’
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે થલતેજમાં જૈન સમાજ દ્વારા યોજાયેલા તેમના અભિવાદન અને રજત તુલા કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થવાની છે. દેશને અયોધ્યામાં રામ મંદિરની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. આથી તેમના જન્મદિને રાજ્યનાં 7100 ગામનાં રામ મંદિરમાં આરતીનો કાર્યક્રમ રખાશે. આ સાથે હૃદયની તકલીફ ધરાવતા 71 બાળકની ઓપન હાર્ટ સર્જરી પણ ભાજપ દ્વારા કરાવાશે. આ સિવાય 51 હજાર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. રાજ્યનાં વિવિધ ગામ, શહેરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પણ હાથ ધરાશે. આ સાથે સી. આર. પાટીલે ફરી એક વાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તમામ 182 બેઠક મેળવશે તેવો પુનરોચ્ચાર કર્યો હતો.
પાટીલે કહ્યું કે, 6 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના મુખ્યમંત્રી કાર્યકાળથી વડાપ્રધાન તરીકેનાં 20 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આ 20 વર્ષની ઉજવણી પણ ભાજપ દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો મારફતે કરાશે. ગુજરાતમાં પણ આ સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે.
દેશમાં હિંદુઓ લઘુમતીમાં આવશે ત્યારે કોર્ટ બચશે નહીં, કાયદો બચશે નહીં, ન બંધારણ બચશે તેવા નીતિન પટેલના નિવેદન પર પાટીલે કહ્યું હતું કે, તેમણે આગામી દિવસોનું ભવિષ્ય જોઈ વાસ્તવિકતા કહી છે.