![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/મોઢવાડિયા-કોંગ્રેસનો-સાથ-છોડી-02-હેડ-નરે.jpg)
એક જ દિવસમાં કોંગ્રેસને બે મોટા ફટકા પડ્યા બે કોંગી દિગ્ગજ નેતાના રાજીનામાં
રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાનું ૭મી તારીખે ગુજરાતમાં આગમન થાય તે પહેલા આજે બે મોટા ફટકા પડ્યા છે. આજે જ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું આપી દીધું હતું અને તેઓ વિધિવત રીતે કાલે ભાજપમાં જોડાવવાના છે. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા પણ વિધાનસભા પહોંચ્યા હતા અને જ્યાં અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું. માનવામાં આવી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણી સાથે સાથે પોરબંદરની પેટા ચૂંટણી પણ યોજાશે અને ત્યાંથી મોઢવાડિયા ભાજપના ઉમેદવાર હશે.
છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલતી હતી: કે મોઢવાડિયા કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને એ અટકળો આજે સાચી સાબિત થઈ હતી. મોઢવાડીયાએ આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું. મોઢવાડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને પોરબંદરની બેઠક ઉપરથી તેઓ ૨૦૨૨માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલાં દિવસભર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી લઈ નેતાઓ કહેતા હતા કે, મોઢવાડિયાએ અમારા સંપર્કમાં છે અને તેઓ ભાજપમાં જવાના નથી. જોકે, તેમના દાવા ખોટા સાબિત થયા હતા અને સાંજે પાંચ વાગ્યે મોઢવાડિયા વિધાનસભા પહોંચ્યા હતા અને શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે અને આગામી સમયમાં તેમના સમર્થક એવા કેટલાક ધારાસભ્યો પણ કોંગ્રેસનો સાથ છોડી શકે.
શક્તિસિંહ ગોહિલે: કહ્યું કે, અમારા નેતાઓ ભાજપમાં જઈ પાલખી ઊંચકે એટલે ચિંતા થાય છે: ૨૦૧૭ની રાજ્યસભાની ચૂંટણી સમયે ૧૭ ધારાસભ્યો ભાજપમાં ગયા હતા તેમાંથી માત્ર ૫ ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા. તેમણે કહ્યું કે, એક સમયે ભાજપના નેતાની નંદા ગાંડા સાથે સરખામણી કરનારા અમારા નેતાને ભાજપ લઈ ગયો હતો અને મંત્રીપદ આપ્યું હતું. ભાજપના જ બે નેતાઓને રંગા બિરલાનું નામ આપનારા અમારા એક નેતાને ભાજપમાં લઈ જવાની પેરવી ચાલી રહી છે. તમારી પાસે રાજ્યમાં ૧૫૬ સીટ છે, લોકસભાની ૨૬ સીટ છે, કેન્દ્રમાં તમારી સરકાર છે તો પછી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની કેમ જરૂર પડે છે. આતો ભાજપના કાર્યકરોનું અપમાન હોવાનું પણ તેમણે કહ્યું હતું. અર્જૂન મોઢવાડિયા આજે પ્રેસ કોન્ફરન્સમાં દેખાયા નહોતા ત્યારે પ્રદેશ પ્રમુખે કહ્યું કે, તેઓ કોંગ્રેસ છોડીને ક્યાંય જવાના નથી. ભરતસિંહ સોલંકીએ પણ કહ્યું હતું કે, મોઢવાડિયા અમારી સાથે જ છે.