ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યું મોટુ નિવેદન,રાત્રી કર્ફ્યુ નહીં હટે
ગુજરાતમાં કોરોના કેસો વધતા વિધાનસભાની પેટા ચૂંટણી અને દિવાળીના તહેવાર બાદ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. જોકે હવે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, જેથી અંદાજ હતો કે, રાત્રી કર્ફ્યુ હટી જશે. પરંતુ આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે રાત્રી કર્ફ્યુ યથાવત જ રહેશે.
સુરતના એક કાર્યકમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હાજરી આપી હતી. ત્યારે તેમણે નિવેદન આપ્યું કે, રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. અને હાલ પૂરતું કર્ફ્યુ હટાવવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, હવે ન્યુ યરનો તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો રાત્રી દરમિયાન જ થર્ટી ફસ્ટની ઉજવણી કરતા હોય છે. આ ઉપરાંત ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય રાત્રી દરમિયાન જ પ્રાર્થના કરે છે. પરંતુ જે પ્રમાણે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે તેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ન્યુ યરના તહેવારમાં પણ કોઈ છૂટ નહિ મળે, પ્રદીપસિંહએ કહ્યું કે, કોઈપણ સંજોગોમાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. જેથી એ સ્પષ્ટ થયું છે કે હાલ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ નહીં હટે.