ગુજરાતઃ ગત ૨૪ કલાકમાં ૨૯ દર્દીઓના મોત, કુલ કેસ ૧૪૦૬૩
રખેવાળ, ગુજરાત
રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ આજે ૨૫ મેના રોજ ઈદ ઉલ ફિત્રની ઉજવણી થશે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૯૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૪,૦૦૦ને પાર થયો છે. સાથે સાથે કુલ મૃતકોની સંખ્યા ૮૫૮એ પહોંચી છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૯૪ નવા કેસ નોંધાયા છે અને ૨૯ દર્દીના મોત થયા છે. નવા નોંધાયેલા ૨૯ મૃત્યમાંથી ૮ દર્દીના કોરોનાથી અને ૨૧ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણ મોત થયા છે. કોરોનાના ગુજરાતમાં કુલ કેસ ૧૪,૦૬૩ દર્દીમાંથી ૬૭ દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે ૬,૭૨૬ દર્દીની હાલત સ્થિર છે અને ૮૫૮ના મોત થઈ ચૂક્યા છે. તેમજ ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૮૨,૮૬૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ૧૪૦૬૩ના રિપોર્ટ પોઝિટિવ અને ૧,૬૮, ૮૦૬ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
કાલે નવા આવેલા ૩૯૪ નવા કેસનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં ૨૭૯, સુરતમાં ૩૫, વડોદરામાં ૩૦, સાબરકાંઠામાં ૧૪, ગાંધીનગરમાં ૧૧, રાજકોટમાં ૫, દાહોદમાં ૪ ખેડામાં ૩, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, અન્ય રાજ્યમાં ૨-૨ જ્યારે ભાવનગર, આણંદ, અરવલ્લી, જામનગર અને વલસાડ માં ૧-૧ કેસ નોંધાયા છે.