ગુજરાતના ત્રણ જિલ્લામાં કોરોનાથી 79.25 ટકા દર્દીનાં મૃત્યુ થયાં
રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 4004 થઈ ગઈ છે. બે લાખ કેસોમાં રાજ્યના ત્રણ જિલ્લામાં 79.25 ટકા લોકોનાં મોત થયાં છે, જ્યારે ડાંગ જિલ્લામાં હજી સુધી કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ વ્યક્તિઓ કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. એ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં 4.13 ટકાનો છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાતનો નવમો નંબર છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ થવા મુદ્દે ગુજરાતનું નવમું સ્થાન છે, જ્યારે સૌથી વધુ મૃત્યુદર ધરાવતાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન ચોથું છે. ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી જે લોકોનાં મોત થયાં તેમાંથી 51.25 ટકા લોકો માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. રાજ્યમાં એકમાત્ર ડાંગ જિલ્લો જ એવો છે જ્યાં કોરોનાથી હજી સુધી એકપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી.
રાજ્યમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યામાં ખૂબ જ વધારો થવા માંડ્યો હતો. મે મહિનામાં સૌથી વધુ 830 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો, જ્યારે જુલાઈમાં 804 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો.
રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 94 હજાર 467 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 11 હજાર 257ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4004એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 92 હજાર 368 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,885 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર જ્યારે 14,804 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં છવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540,26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502 કેસ નોંધાયા હતા.