સમગ્ર વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં 20 જુન સુધીમાં વીજળી ચાલુ કરી દેવાશેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કચ્છ જિલ્લાની બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સમીક્ષા કરવા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના દરિયાકાંઠે આવેલા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જખૌ પી.એચ.સી. ખાતે આવેલ શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ અમિત શાહે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને પ્રશ્નો સાંભળ્યા અને તંત્રને સૂચનો આપ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિ વિષે લોકોથી માહિતી મેળવી હતી. તદુપરાંત વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને શેલ્ટર હોમમાં મળતી સુવિધા વિષે પૂછ્યું હતું.
આ અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, અમે બિપરજોય વાવાઝોડુ જ્યાં ટકરાયુ હતું તે બે તાલુકાના લોકોની મુલાકાત કરી છે. અમે સગર્ભા માતાઓ અને ખેડૂતોને મળ્યા હતાં. તે ઉપરાંત બચાવકાર્યમાં લાગેલા SDRF અને NDRFના જવાનોને મળ્યા હતાં. કચ્છ આવીને ધારાસભ્ય, સાંસદસભ્ય અને અધિકારીઓ પાસેથી સ્થિતિનો રિવ્યૂ લીધો હતો. વાવાઝોડાના સમાચાર આવ્યા ત્યારે અનેક આશંકાઓ મનમાં હતી. પરંતુ આજે સંતોષ સાથે કહું છું કે, પીએમ,સીએમ અને ગામડાના સરપંચ સાથે જનતાના સહયોગથી ઓછામાં ઓછું નુકસાન ભોગવવામાં સફળ થયા છીએ.
અમિત શાહે કહ્યું હતું કે,ગુજરાતના સીએમ અને અધિકારીઓ સહિત ભારત સરકારના કેટલાક સચિવ અને મારા તેમજ સીએમના લેવલ પર સતત કોન્ફરન્સ અને સૂચનાઓનું આદાન પ્રદાન થતું હતું. આ આપદામાં જનતા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી બહાર આવ્યા છીએ. આજે રિવ્યુ બાદ જાણવા મળ્યું કે કોઈનો જીવ નથી ગયો એનો સંતોષ છે. મુખ્ય સચિવથી લઈને ગામડાના તમામ લોકોને અભિનંદન કે તમામને બહાર કાઢવામાં આવ્યાં એ ટીમ વર્કનું ઉદાહરણ છે. તમામ રાજનૈતિક પક્ષ અને NGO દ્વારા સમયસર મળેલી સૂચના મુજબ કામ કરીને એક ઉદાહરણ સરકારે પૂરું પાડ્યુ છે.
સ્થાનિક લેવલે 7600 લોકોનો સ્ટાફ કાર્યરત છે. મીઠાના અગર અનેક અહીં છે, અગરિયા ભાઈઓ પ્લાન્ટ પર હતા તેમને પણ સુરક્ષિત કરાયા હતા. સાયક્લોન માટે જે ગાઈડલાઈન બનાવી તેનું અમલીકરણ થયું એટલે સફળ રહ્યા છીએ.પીએમ ગુજરાતના છે, જ્યારે પણ સાયકોલન આવે એટલે તેઓ પોતે ચિંતિત રહીને ધ્યાન પણ રાખતા હોય છે. સાર્વજનિક જીવનમાં 40 વર્ષથી છું, વાવાઝોડા પછી પહેલીવાર હસતા ચહેરા જોવા મળ્યા છે. એકપણ વ્યક્તિનું મોત ના થવું એ સરકારની સિદ્ધિ છે. આ વાવાઝોડામાં બોટમાં નુકસાન થાય તો એમને પણ મદદ કરીશું.આગામી 20 જૂન પહેલા દરેક જગ્યાએ વીજળી ચાલુ કરી દેવામાં આવશે.