અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડના પડઘાં સુરતમાં પણ પડ્યા
અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડના પડઘાં સુરતમાં પણ પડ્યા છે. શહેરની 36 જેટલી MoU કરાયેલી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વધુ એક ટ્રાઈડેન્ટ હોસ્પિટલના કોવિડના MoU રદ કરવામાં આવ્યા છે.
શહેરની 36 જેટલી MoU કરાયેલી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પાલિકાના સર્વેમાં 36માંથી 12 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીમાં ખામી હોવાનું જણાઈ આવ્યું હતું. જેને ગંભીરતાથી લઈ તેમાંથી ગત રોજ 3 બાદ આજે વધુ એકના તાકિદે MoU રદ કરવાના આદેશ અપાયા છે. તેમજ હાલમાં દર્દી દાખલ છે તે સિવાય અન્ય નવા દર્દીઓને દાખલ નહીં કરવા પણ તાકીદ કરવામાં આવી છે. આજે નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈડેન્ટ હોસ્પિટલમાં સર્વે દરમિયાન ફાયર સેફ્ટી અને ઈમરજન્સી એક્ઝિટ ન હોવાથી કાર્યવાહી હાથ ધરાઈ છે.
બસંત પરિખ (ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલોમાં સર્વેમાં કુલ 36 કોવિડ હોસ્પિટલો છે. જેમાં થયેલા સર્વેમાં 12 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીમાં ક્ષતિ આવી હતી. આ ક્ષતિઓને દૂર કરવા 1 દિનની મુદત નોટિસ ફટકારાઈ છે. જો ફાયર સેફ્ટી કાર્યરત નહીં કરાય તો તેને બંધ કરવાની ફરજ પડશે. પાલિકા કમિશનરે 12 હોસ્પિટલના સંચાલકોને તેડાવ્યા હતાં તેમને તાકીદે ફાયર સેફ્ટી અંગે સૂચના આપી હતી.