![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/12/27_1607951980.jpg)
ઉત્તર ગુજરાત યુનિ.માં ઓનલાઇન પરીક્ષાની માગ સાથે 50 વિદ્યાર્થી ભૂખ હડતાળ પર ઉતર્યા
ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવનારી ઓક્ટો- ડિસેમ્બરની પરીક્ષામાં બી.એ ,બી.કોમના સેમેસ્ટર – 5મી જ ઓફલાઇન પરીક્ષાનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે વહીવટી ભવન બહાર 50 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઇ પરીક્ષાની માગને લઇને ભૂખ હડતાળ પર બેઠા હતા. કુલપતિ દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટ જવાબ ન આપતા છાત્રોમાં રોષ જોવા મળ્યો હતો.
પરીક્ષા ઓફલાઈન લેવાશે
યુનિવર્સીટી દ્વારા કોરોના મહામારીને લઇ પ્રથમવાર ઓફલાઈનની સાથે ઓનલાઇન પરીક્ષાઓ લેવાનો નિર્ણય લઇ પરીક્ષાઓ બે ભાગમાં વહેંચીને લેવામાં આવી રહી છે. માર્ચ જૂનની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે દિવાળી બાદ ઓક્ટોબર- ડિસેમ્બરની પરીક્ષાઓમાં યુનિવર્સીટી દ્વારા ઓફલાઈન અને ઓનલાઇન લેવામાં આવનાર છે. ત્યારે સ્નાતક કક્ષામાં બી.એ અને બી.કોમમાં સૌથી વધુ સંખ્યા હોઈ કેટલાક સેમિસ્ટરોની પરીક્ષા ઓનલાઇન અન્ય સેમેસ્ટરોની ઓફલાઈન એ રીતે લેવાનારી છે.
અનેક રજૂઆત છતાં નિર્ણય ન લેવાતા ભૂખ હડતાળ
બીએ અને બીકોમ સેમેસ્ટર 5ની ઓફલાઇન પરીક્ષાઓ લેવાનારી છે, ત્યારે કોરોના કાળમાં હાલ કોલેજો બંધ હોય બધા છાત્રો ઘરે ફક્ત પરીક્ષા માટે જ કોલેજોમાં આવવાની ફરજ પડશે અને તેમને રહેવા અને ખાવાની મુશ્કેલીઓ ઉભી થશે. જેથી ઓફલાઈનના બદલે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે તેવી માગ સાથે છાત્રો દ્વારા અગાઉ કુલપતિને બેવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિર્ણય ન લેવાતા છાત્રો રોષ સાથે વહીવટી ભવન આગળ નિર્ણય લેવાની માગ સાથે ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. કુલપતિ દ્વારા આ બાબતે વિચારણા બાદ નિર્ણય લઈશું તેવો જવાબ આપ્યો હતો. છતાં છાત્રો નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી બેસી રહેવાની હઠ સાથે વહીવટી ભવન બહાર ધામા નાખીને બેઠા હતા.
શિવ ઠક્કરે જણાવ્યું હતું કે કોરોનામાં છાત્રો સંક્રમિત થાય તો તેમની સારવાર અને કોઈ મુત્યુ થાય તો સહાય મળે તેવી વીમો યુનિવર્સીટી દ્વારા લેવામાં આવે અને ત્યારબાદ ઓફલાઈન પરીક્ષા લે અમે આપવા તૈયાર છીએ. અમે સંક્રમિત થઈશું તો અમારા વાલીઓ ઉંમરલાયક છે. કઈ થશે તો જવાબદાર કોણ. જેથી અમે ઓફલાઈન પરીક્ષાના બદલે ઓનલાઇન જ પરીક્ષા લેવામાં આવે તેવી માગણી કરી છે. જ્યાં સુધી અમારા હિતમાં નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી અમે બધા છાત્રો બેસી રહીશું.