![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/phpThumb_generated_thumbnail-2.jpeg)
કોરોનાનો કહેર : યુનિવર્સિટીની પરીક્ષાઓ જુલાઈમાં પૂર્ણ કરી નવું સત્ર ઓગસ્ટમાં શરૂ કરવા માટે UGCની સમિતિની ભલામણો
રખેવાળ, ગુજરાત
કોરોનાના કહેર અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે દેશભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષાને મુદ્દે અસમંજસની સ્થિતિ ચાલી રહી છે. કોલેજ અને યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી કે કેમ એ મુદ્દે વિદ્યાર્થી, વાલી, અધ્યાપક, આચાર્યો અવઢવમાં છે. એવામાં UGCએ પરીક્ષા મુદ્દે બનાવેલી સમિતિએ જુલાઈમાં પરીક્ષા અને પરિણામ જાહેર કરવા સાથે ઓગસ્ટમાં નવું સત્ર શરૂ કરવાની ભલામણ કરી છે. જો કે, હજુ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ચર્ચા-વિચારણા બાદ આખરી નિર્ણય લેવાશે. સમિતિનો આ રિપોર્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
પ્રો.આર.સી.કુહાડની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ગત ૨૪ એપ્રિલે રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટ પર ચર્ચા-વિચારણા બાદ અઠવાડિયામાં માર્ગદર્શિકા જાહેર કરવાનો UGCએ મત આપ્યો છે. જો કે, તે પૂર્વે સમિતિએ કરેલી ભલામણનો રિપોર્ટ સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો. જેમાં જુલાઈમાં પરીક્ષા અને ઓગસ્ટમાં નવું સત્ર શરૂ કરવાની ભલામણ કરવામાં આવી હોવાથીતર્ક-વિતર્કનો દોર શરૂ થઈ ગયો હતો. ભલામણમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવાની સાથે જ કોલેજ, યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાની તાકીદ કરવામાં આવી હતી. જ્યારે ૭૦ ગુણની યુનિવર્સિટી પરીક્ષા અને ૩૦ ગુણ મૂલ્યાંકનના મળીને ૧૦૦ ગુણની પરીક્ષા લેવા પર ભાર મુકાયો છે.
૩૧ મે સુધીમાં ઓનલાઈન એસેસમેન્ટની કામગીરી પૂરી થયા બાદ જુલાઈના પ્રથમ પખવાડિયામાં ATKT અને બીજા પખવાડિયામાં રેગ્યુલર પરીક્ષા લેવાનો મત રજૂ કરાયો છે. તેને આધારે જ આગામી ૨૦૨૦-૨૧ના સત્રમાં પ્રવેશ અને પરીક્ષાની રૂપરેખા પણ તૈયાર કરાઈ છે. સમિતિની આ ભલામણને આધારે નજીકના દિવસોમાં માર્ગદર્શિકા જાહેર થશે.
તજજ્ઞોની સમિતિએ કરેલી ભલામણો
- ૧૫ મે સુધી ઈ-લર્નિગ થકી વિદ્યાર્થીઓ ઘર બેઠા અભ્યાસ કરે એવા પ્રયાસ કરો.
- ૧૬ થી ૩૧ મે સુધીમાં ડિજિટલ માધ્યમ થકી ડેઝર્ટેશન, પ્રોજેક્ટ વર્ક, અસાનઈનમેન્ટ લો.
- જૂનમાં વેકેશન ૧-૧૫ જુલાઈ વચ્ચે એટીકેટી, ૧૬-૩૧ જુલાઈ વચ્ચે રેગ્યુલર પરીક્ષા.
- ૩૧ જુલાઈએ ATKT અને ૧૪ ઓગસ્ટે રેગ્યુલર પરીક્ષાનું પરિણામ જાહેર કરો.
નવા સત્ર માટે ૧ થી ૩૧ ઓગસ્ટ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા કરો. - ૧ જુલાઈથી નવા વર્ગો શરૂ કરો. દ્વિતીય અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓના વર્ગો ૧ ઓગસ્ટથી શરૂ કરો.
- ૧ થી ૨૫ જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં પરીક્ષા અને ૨૬ મે થી ૨૫ જૂન સુધીમાં અન્ય પરીક્ષા લો.
તજજ્ઞોની સમિતિએ પરીક્ષાની પેટર્ન માટે પણ વિવિધ ભલામણો, સૂચનો કર્યા છે. જેમાં યુનિવર્સિટી કોઈપણ વૈકલ્પિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને MCQ-OMR પદ્ધતિ આધારિત પરીક્ષા, ઓપન બુક એકઝામ, ઓપન ચોઈસ, અસાનઈમેન્ટ-પ્રિપેરેશન આધારિત મૂલ્યાંકન કરી શકે એ માટે મંજૂરી આપવામાં આવી છે.