![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/gujarat-dgp-shivanand-jha.jpg)
કોરોના ગુજરાત : પગપાળા જતા લોકોને શેલ્ટર હોમમાં રાખી વતન પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવેઃ DGP
રખેવાળ, ગુજરાત
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે પોલીસ પગલાં ભરી રહી છે. જેને કારણે લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ આ પગલાં લેવા જરૂરી છે. લોકો સહકાર આપે તો પોલીસને ગુનો દાખલ કરવાની જરૂર ન પડે. શ્રમિકોને ના પાડવામાં આવી હોવા છતાં અમુલ લોકો પગપાળા વતન જઈ રહ્યા છે. તેવામાં આદેશ આપવામાં આવ્યો છે કે, આવાં લોકોને શેલ્ટર હોમમાં ખસેડી તંત્ર સાથે સંપર્ક સાધી તેઓને વતન મોકલવામાં આવશે.
અમુક લોકો બીજા લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને આંતરરાજ્ય જિલ્લાઓમાં મુવમેન્ટ કરતાં લોકોને ગેરકાયદે મુવમેન્ટ ન કરવા માટે ડીજીપીએ જણાવ્યું હતું. ગેરકાયદે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાને કારણે પણ ચેપનો ફેલાયો થયો હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. અને જો અનિવાર્ય હોય તો પાસ લઈને અન્ય જિલ્લામાં જવું જોઈએ અને જિલ્લામાં ગયા બાદ ક્વોરન્ટાઈન રહેવાની પણ અપીલ કરી હતી.
ગીરસોમનાથના કોડીનારમાં આઠ લોકો અમદાવાદથી અલગ અલગ રીતે કોડીનારમાં આવ્યા હતા. અને તંત્રને ગેરમાર્ગે દોરીને એક ડ્રાઈવર અને એક મુસાફરની મંજૂરી લીધી હતી. પણ બાદમાં કારમાં નવ લોકો મુસાફરી કરતાં ઝડપાયા હતા. આ તમામ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં નકલી પરમિટના આધારે શ્રમિકોને મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હતા. આ કિસ્સામાં બસના માલિક વિરુદ્ધ ગુનો નોંધી બસ જપ્ત કરવામાં આવેલ છે.
અમદાવાદ સહિત રેડ ઝોનમાં તંત્ર દ્વારા લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. હજુ પણ પોલીસ દ્વારા મંજૂરી નથી તેવી દુકાનો ખુલ્લા રહેતાં કાર્યવાહી કરવામાં આવે છે. સંક્રમણ રોકવા માટે આવી ગેરકાયદે પ્રવૃતિ ન થાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસકર્મીઓ કોરાનાથી મુક્ત થઈ તરત ફરજ પર પરત ફરી રહ્યા છે. આજે ૪૨ પોલીસકર્મીઓ કોરોનાથી મુક્ત થયા છે. ૩૦ પોલીસકર્મીઓનો હોમ ક્વોરન્ટાઈનનો પીરિયડ પૂરો થયો છે.