અમદાવાદના કૃષ્ણનગરમાં વિદેશી નાગરીકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયુ, મુખ્ય આરોપી ફરાર, બે જણાની ધરપકડ
અમદાવાદ શહેરમાં વિદેશી નાગરીકો પાસેથી પૈસા પડાવવા માટે ચાલતા કોલ સેન્ટર અનેક વખત પકડાયાં છે. ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં વિદેશી નાગરીકોને લોન આપવાના બહાને છેતરપીંડી કરતુ કોલ સેન્ટર ઝડપાયું છે. આ કોલ સેન્ટર ચલાવતાં બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે ઘટના સ્થળેથી 23 ફોન સહિત 2.80 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે કૃષ્ણનગરના ડી સ્ટાફ પીએસઆઇ.જે. ચાવડા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે, સેન્ટ મેરી સ્કૂલ નજીક અંબિકાનગર સોસાયટીમાં નિખંજ વ્યાસ નામનો વ્યક્તિ કોલ સેન્ટર ચલાવે છે. જેમાં તે વિદેશી બેંકમાંથી બોલતા હોવાનું કહી લોન લેવી હોય તો ડોક્યુમેન્ટ મોકલી આપો સહિતના કામો કરે છે. આ બાતમી બાદ પોલીસે ત્યાં રેડ કરી હતી. જ્યાં બે વ્યક્તિ મળ્યા હતા. તેમની પાસે લેપટોપ અને સંખ્યાબંધ ફોન અને ડોંગલ મળ્યા હતા. ત્યાં હાજર વ્યક્તિનું નામ પૂછતા તેણે અમિત ઉર્ફે સન્ની ભરતકુમાર સથવારા અને દિશાંત કલ્પેશભાઇ જાની હોવાનું જણાવ્યું હતું.
કોલ સેન્ટર નિખંજ વ્યાસ ચલાવતો હોવાનું તથા બન્ને પગાર પર નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. બન્ને જણાએ પોલીસને જાણાવ્યું હતું કે, નિખંજ જુદા જુદા વ્યક્તિનો ડેટા વિદેશથી મંગાવે છે અને તે વોટ્સએપ મારફતે ગ્રૂપમાં મોકલી આપે છે અને તેના આધારે અમે કોલ કરીએ છીએ. તેઓ વિદેશી નાગરિકોને લોન આપવાનું કહી વિવિધ ડોક્યુમેન્ટ મંગાવે છે ત્યારબાદ કસ્ટમરને ફોન કરી તેમનો બેંક એકાઉન્ટ નંબર અને આઇડી તેમજ પાસવર્ડ મગાવી લે છે. પછી વિદેશી બેંકનો કસ્ટમરના નામનો ફ્રોર્ડ ચેક બનાવે છે અને લોન આપવાના બહાને પૈસા પડાવ્યા બાદ તેઓ ફોન ઉપાડવાનું બંધ કરી દે છે. પોલીસને ત્યાંથી 23ફોન, ડોંગલ, ચાર્જર, રાઉટર સહિત 2.80 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.