![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/ગૃહમંત્રીનાં-બહેનના.jpg)
ગૃહમંત્રીનાં બહેનના બેસણામાં સવારથી જ ભાજપના ધારાસભ્યો મંત્રીઓ સાથે કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં મોટા બહેન રાજેશ્વરીબેન શાહનું સોમવારે અવસાન થયું હતું. આજે મંગળવારે તેઓનું રાજપથ ક્લબની બાજુમાં આવેલા જેડ હોલમાં બેસણું રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીનાં બહેનના બેસણામાં સવારથી જ ભાજપના ધારાસભ્યો, નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મંત્રી જગદીશ પંચાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ પણ બેસણામાં આવ્યા હતા. બેસણામાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા સહિતના અનેક કોંગ્રેસના નેતાઓ પણ બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગઈકાલે અમિત શાહના બહેનની અંતિમયાત્રા નીકળી હતી. રાજેશ્વરીબેનના નશ્વર દેહને થલતેજ સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યો હતો. મંત્રોચ્ચાર વિધિ સાથે તેઓના મૃતદેહને અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ, દિનેશ કુશવાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના ભાજપના નેતાઓ સ્મશાનગૃહમાં રાજેશ્વરીબેનના અંતિમસંસ્કારમાં જોડાયા હતા. તેમજ પોલીસ કમિશનર જી.એસ મલિક, સાંસદ ડો. કિરીટ સોલંકી પણ જોડાયા હતા.