બિલ્કીસ બાનો કેસ: તમામ 11 દોષિતોએ મોડી રાત્રે ગોધરા સબ જેલમાં કર્યું સરન્ડર

ગુજરાત
ગુજરાત

સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાને પગલે, બિલ્કીસ બાનો કેસના તમામ 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે ગુજરાતના પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં સરન્ડર કર્યું હતું. લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ જણાવ્યું હતું કે તમામ 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે જેલ સત્તાવાળાઓ સમક્ષ સરન્ડર કર્યું હતું.

આ કેસમાં ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને આપવામાં આવેલી માફી રદ કરીને સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ સાથે, કોર્ટે 2022 માં સ્વતંત્રતા દિવસ પર અકાળે મુક્ત થયેલા દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે ગુનેગારોને સરન્ડર માટે વધુ સમય આપવા અંગેની અરજીને ફગાવી દીધી હતી અને તેમને રવિવાર સુધીમાં સરન્ડર કરવાનું કહ્યું હતું. આ 11 દોષિતોમાં બકાભાઈ વહોનિયા, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, ગોવિંદ, જસવંત, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરઠીયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરી 2002માં ગોધરા ટ્રેન સળગાવ્યા બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા પ્રચંડ કોમી રમખાણો સમયે બિલ્કીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. રમખાણોમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે, તેણી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી સહિત તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.