![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/fire.png)
ભીવાડીમાં મોટી દુર્ઘટના, ફાર્માસ્યુટિકલ બનાવતી કંપનીમાં આગ લાગતા 4 લોકોના મોત
રાજસ્થાનના ખૈરથલ-તિજારા જિલ્લાના ભીવાડી વિસ્તારમાં એક કારખાનામાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. નાયબ પોલીસ અધિક્ષક (તિજારા) શિવરાજ સિંહે જણાવ્યું હતું કે મંગળવારે મોડી સાંજે ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આગને કાબૂમાં લેવામાં આવી હતી પરંતુ ધુમાડાને કારણે ફાયર ફાઈટર અંદર જઈ શક્યા નહોતા.
ફાર્માસ્યુટિકલ બનાવતી કંપનીમાં આગ લાગી હતી
તેમણે કહ્યું કે બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે જ્યારે બે મૃતદેહોને સ્થળ પરથી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. મંગળવારે સાંજે ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારમાં ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં આ અકસ્માત થયો હતો. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે કંપનીમાં આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયા હતા. કંપનીમાં સર્વત્ર ધુમાડો દેખાતો હતો. જેના કારણે બચાવ કાર્ય ખોરવાઈ ગયું હતું. વધુ પડતા ધુમાડાના કારણે ફાયર ફાયટર રાત્રે કંપનીની અંદર જઈ શક્યા ન હતા. સવારે જોયું તો ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.