બાબા રામદેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, ભ્રામક જાહેરાત કેસમાં અવમાનનાની કાર્યવાહી બંધ
બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે . સુપ્રીમ કોર્ટે મંગળવારે તેમની માફી સ્વીકાર્યા બાદ બાબા રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે. યોગ ગુરુ રામદેવ, બાલકૃષ્ણ અને તેમની કંપની તરફથી હાજર રહેલા એડવોકેટ ગૌતમ તાલુકદારે કહ્યું, ‘કોર્ટે રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના સોગંદનામાના આધારે તિરસ્કારની કાર્યવાહી બંધ કરી છે.’ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આ કેસમાં રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને જારી કરાયેલી અવમાનના નોટિસ પર 14 મેના રોજ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેના પર કોવિડ રસીકરણ અભિયાન અને આધુનિક તબીબી પ્રેક્ટિસ સામે બદનક્ષીભર્યું અભિયાન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.