વડોદરામાં વધુ વ્યાજની વસુલાત કરનાર ભુપેન્દ્ર ઉર્ફે ટીનાભાઈની પેઢીને પોલીસે સીલ માર્યું
2.67 કરોડની રકમ લીધા બાદ 3.83 કરોડ ચૂકવવા છતાં ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી વધુ 4.25 કરોડની ઉઘરાણી મામલે વેપારીએ મકરપુરા પોલીસ મથકે બે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીને પેઢીને સીલ કરતા અન્ય વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મૂળ ખેડાના રહેવાસી અને હાલ પાદરા રોડ ખાતે રહેતા તેમજ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા દુર્ગાપ્રસાદ યાદવને વર્ષ 2016 દરમિયાન નાણાંની જરૂરિયાત ઉદભવતા કિશોર ડાયાભાઈ મકવાણા (રહે-શેઠ વકીલની ચાલી, પ્રતાપ નગર) અને ભૂપેન્દ્ર ઉર્ફેટીનો શાંતિલાલ શાહ (રહે-સુદેવ ડુપ્લેક્સ, માંજલપુર )નો સંપર્ક સાંધ્યો હતો. અને 5 ટકા વ્યાજે 2.67 કરોડની રકમ લીધા બાદ તેની સામે 3.83 કરોડ ચૂકવવા છતાં ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી વધુ 4.25 કરોડની ઉઘરાણી કરતા ઉપરોક્ત બંને વ્યાજખોર સામે દુર્ગાપ્રસાદે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ ચલાવી રહેલી મકરપુરા પોલીસે ધડીયાળી પોળ વિસ્તારમાં આવેલ ભુપેન્દ્ર શાહની પેઢીને સીલ કરતા અન્ય વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસે નોટિસમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત ગુજરાત મની લોન્ડ્રિંગ એક્ટની કલમ 38, 40, 42 મુજબ ગુનાને લગતા પુરાવા હોવાથી આ પેઢી સીલ કરવામાં આવે છે. મકરપુરા પોલીસની જાણ બહાર જો દુકાન ખોલવામાં આવશે તો ફોજદારી કાર્યવાહી થશે.