![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/10-2.jpg)
ભચાઉ પોલીસે એસઆરપી કોન્સ્ટેબલની હત્યાનો ભેદ ઉકેલી બે સગા ભાઈને ઝડપી લીધા
ભચાઉ નગરની ભાગોળે આવેલા બોર્ડિંગ વાળા રેલવે નાળાથી એસઆરપી કેમ્પ તરફના માર્ગે ગત તા.29-1ના સવારે એસઆરપીમાં એએસાઈ તરીકે ફરજ બાજવતા 54 વર્ષીય વાસુદેવ જગદીશસિંહ ચુડાસમા નામના આધેડ શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવ્યા હતા, જોકે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતનો કેસ લાગતા આ બનાવમાં પોલીસની ઝીણવટભરી તપાસ દરમિયાન આ કેસ હત્યાનો હોવાનું ખુલવા પામ્યું હતું. જેના આધારે વિવિધ રીતે તપાસ કરી ઘટનાને અંજામ આપનાર બે સગા ભાઈને ઝડપી લીધા છે, તો અન્ય બે આરોપી સહિત કુલ ચાર આરોપી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એસપી સાગર બાગમારે જાહેર કર્યું હતું.અકસ્માત બાદ હત્યાના ગુનામાં પરિણમેલા સનસનીખેજ બનાવમાં એસપી બાગમારેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત 29 જાન્યુઆરીના એસઆરપી કર્મીનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે બનાવ શંકાસ્પદ લાગતા તેને ગંભીરતાથી લઈ ભચાઉ DySP સાબડા અને પીઆઇ ખાભલા દ્વારા ઊંડાળ પૂર્વકની તપાસ શરૂ કરી હતી. બાદમાં પોસ મોર્ટમ રિપોર્ટમાં પણ બનાવ હત્યાનો હોવાનું ખુલતા બનાવના સમય આસપાસના સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી અમુક વાહનની શંકા પ્રેરક ગતિવિધિ જાણતા તેના આધારે બે વ્યક્તિને પૂછપરછ માટે રાઉન્ડપ કરતા આ હત્યા ઉશ્કેરાટમાં આવી કરી હોવાની કેફિયત જણાવી હતી. બનાવમાં કોલીયાશરીમાં રહેતા ધીરુ રામાં કોલી અને તેના ભાઈ મહેશની અટક કરી લેવામાં આવી છે , જ્યારે એક કિશોર અને મૃતકની પુત્રી દ્વારા જેના ખાતામાં 5 હજાર જમા કરાયાં હતા તે નિલેશ કોલી સામે પણ હત્યામાં સામેલ ગિરી હેઠળ આરોપી તરીકે ગુનો નોંધાયો છે.
આ મામલે તપાસનીશ અધિકારી પીઆઇ સંદીપ જી ખંભાલા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આરોપી અને મૃતક મીત્રો હતા અને તેમના વચ્ચે બેઠઉઠના સબંધ હતા. તેઓ નશાખોરીની લત ધરવતા હોવાથી અવારનવાર મળતા રહેતા હતા. દરમિયાન બનાવની પૂર્વ રાત્રીએ મૃતક આરોપીના ઘરે બેઠા હતા ત્યારે નશામાં આવી કોઈ કારણોસર જોરશોરથી ગાળો બોલવા લાગતા આરોપી ધીરુએ ઘરની અંદર મહિલાઓ હોવાથી ગાળો બોલવાની ના કહેતા મૃતકે વધુ ગાળો બોલતા ધીરુ ઉશ્કેરાઈ ગયો હતો અને મરણ જનાર આધેડને ઢીકાપાટુનો માર મારતા એસઆરપીના કર્મી મૃત્યુ પામ્યા હતા. બનાવને છુપાવવા મૃતકની લાસને ટ્રેકટર ટ્રોલીમાં લઈ નજીકના બોર્ડિંગ નાળા તરફના અવાવરું માર્ગે લઈ જઈ મૃતદેહને શિફત પૂર્વક સુવડાવી ઘરે પરત ચાલ્યા ગયા હતા. હાલ મૃતકના મોટા ભાઈની ફરિયાદના આધારે વધુ તપાસ ચાલી રહી છે.