બનાસકાંઠાની ગૌશાળા – પાંજરાપોળનાં સંચાલકોની નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક બાદ આંદોલનનો અંત
રખેવાળ ન્યુઝ ડીસા : લોકડાઉન બાદ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરા પોળમાં દાનની આવક બંધ થઈ ગઈ હતી. બીજી બાજુ, રાજ્ય સરકારે સહાય બંધ કરી દેતા અબોલ જીવોને ભૂખે મરવાનો વારો આવ્યો હતો. જેથી અબોલ જીવોને જીવાડવા સહાયને લઈ સંચાલકોએ અનેક રજૂઆતો બાદ આંદોલન છેડયું હતું જેને લઈ મામલો ગરમાયો હતો. જેથી ટેટોડા ગૌશાળા ખાતે બેઠકમાં સરકારના પ્રતિનિધિઓ સાથે થયેલ આયોજન મુજબ મંગળવારે જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ના. મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં સરકારના પ્રતિનિધિ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ પણ ઉપસ્થિત રહી રજૂઆતો કરી હતી.
જેમાં સંચાલકોની માંગ હતી કે પશુ દીઠ પ્રતિદિન રૂ.૨૫ ની સહાય જૂનથી ડિસેમ્બર સુધી આપવામાં આવે જોકે ના.મુખ્યમંત્રીએ તેમની રજૂઆતો સાંભળી હતી અને આ બાબતે તેઓ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે વાત કરી જૂન મહિનાથી બાકી સહાય અને આગળ માટે પણ યોગ્ય કરવાની હૈયા ધારણા આપતા આંદોલનનો સુખદ અંત આવશે તેવો આશાવાદ સંચાલકોમાં જોવા મળ્યો હતો આ મામલે સંચાલકોએ આજે બેઠકમાં ચર્ચા મુજબ સરકાર તાત્કાલિક સહાયની જાહેરાત કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.