સુરતના ડાયમંડ બુર્સ ખાતે કામદારોનો હોબાળો, પથ્થરમારો કરી ઓફિસના કાચ તોડ્યા
સુરત :
લૉકડાઉનમાં સુરત શહેરમાં હવે છાશવારે પ્રરપ્રાંતીય કારીગરોનો વિરોધ સામે આવી રહ્યો છે. મંગળવારે શહેરનામાં બે જગ્યાએ વિરોધના બનાવ સામે આવ્યા છે. જેમાં ડીંડોલી ખાતે લોકોએ પથ્થરમારો કરતા બે પોલીસકર્મી ઘાયલ થયા છે. જ્યારે ડાયમંડ બુર્સ ખાતે કારીગરોએ વિરોધ કરતા પથ્થરમારો કરીને ઓફિસના કાચ તોડી નાખ્યા છે. આ ઉપરાંત એક કારમાં તોડફોડ કરીને તેને ઊંઘી વાળી દીધી હતી.
સુરત શહેરથી દૂર સચિન મગદલ્લા રોડ પર હાલ ડાયમંડ બુર્સનું નિર્માણ ચાલી રહ્યું છે. આ વિસ્તાર શહેરથી દૂર હોવાથી અહીં બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીં બીજી જગ્યાએથી લાવવામાં આવેલા કારીગરોમાં કોઈ કોરોના પોઝિટિવ હોવાની આશંકામાં અહીં પહેલાથી કામ કરી રહેલા મજૂરોએ હોબાળો મચાવ્યો હતો.
આ મામલે કડોદરા પોલીસે સ્થળે પર પહોંચી હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે દિવસમાં અહીં મેનેજમેન્ટ તરફથી બીજી સાઇટ પરથી મજૂરો લાવવામાં આવ્યા હતા. જેનાથી અહીં પહેલાથી કામ કરી રહેલા મજૂરોને એવું લાગ્યું હતું કે આ લોકો સંક્રમિત હોઈ શકે છે. જે બાદમાં અમુક આવારા તત્વોએ તોડફોડ કરી હતી. એટલું જ નહીં અહીં પડેલી એક કારમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે હાલ કોઈ જ એફઆઈઆર નોંધી નથી.
ડાયમંડ બુર્સ ખાતે હાલ બાંધકામનું કામ ચાલી રહ્યું છે. અહીં આશરે 500થી 700 જેટલા મજૂરો રહે છે. આ લોકો બાંધકામનું કામ કરે છે. આ દરમિયાન તેમના જમવા તેમજ રહેવા માટેની વ્યવસ્થા પણ અહીં જ કરવામાં આવી છે. આજે સવારે કારીગરોએ વતન જવાની માંગ સાથે તેમજ અન્ય મજૂરોને અહીં લાવવામાં આવ્યાની વાતથી હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં પથ્થરમારો કરીને ઓફિસના કાચ તોડી નાખ્યા હતા. જે બાદમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે શરૂઆતમાં આઠથી દસ લોકોની અટકાત કરી હતી. જે બાદમાં પોલીસે કામદારોનો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે એવું વલણ અપમાવ્યું છે કે જો વાત સમજાવટથી પતી જતી હોય તો આગળની કાર્યવાહી ન કરવી.
કારીગરોએ પથ્થરમારો કરીને ઓફિસના કાચ ઉપરાંત કેબિનો પણ તોડી પાડી હતી. આ ડાયમંડ બુર્સ ખાતે મોટી મોટી ડાયમંડ કંપનીઓની ઓફિસો આવશે. કામદારોના પથ્થરમારા બાદ અહીં સુપરવાઇઝરો અને ઉપરના અધિકારીઓ ચાલ્યા ગયા હતા.