એશિયાના સૌથી મોટા રોપવે- ગિરનાર રોપવેનું PMના હસ્તે ઇ-લોકાર્પણ કરાશે, CM રૂપાણી જૂનાગઢમાં, મોદીનું ઓનલાઇન સંબોધન
એશિયાના સૌથી મોટા રોપવે ગિરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢ પહોંચી ગયા છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા જૂનાગઢવાસીઓમાં છે.
હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે.
ગિરનાર રોપવેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મગાવી છે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. 2.3 કિલોમીટરના રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યા છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રાખવામાં આવી છે. હાલ તો રોપવે પર 24 ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે, જ્યારે જરૂરિયાત મુજબ અન્ય ટ્રોલીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. એક ફેરામાં 192 દર્શનાર્થી જઇ શકશે. દરેક ટ્રોલીની સ્પીડ પ્રતિ સેકન્ડ 5 મિનિટ રહેશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મી. (36 સેકન્ડ) હશે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.
ગિરનાર પર પવનની ગતિને ધ્યાનમાં રાખીને રોપવેની ડિઝાઈન બનાવાઈ
ગિરનાર પર્વતની ઊંચાઇ 3,500 ફૂટ છે. સર્વોચ્ચ શિખર 3,666 ફૂટ ઊંચું છે. અહીં પવનની ગતિ 180 કિ.મી. પ્રતિ કલાક રહે છે. એનો સામનો કરવા રોપવેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવાઇ છે. રોપવે માટે 9 ટાવર લગાવાયા છે. એમાંથી 6 નંબરનો ટાવર સૌથી ઊંચો (અંદાજે 67 મી.) છે, જે ગિરનારના છેલ્લા પગથિયાની નજીક છે. દરેક ટાવર વચ્ચે એમની ઊંચાઇ 7-8 માળ જેટલી રખાઈ છે.
ગિરનાર રોપવે શરૂ થતાં હવે યાત્રિકોનો પ્રવાહ વધશે. લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા રસ્તામાં પગથોભ માટે ખાણીપીણીની દુકાનોએ ઊભું રહેવું પડશે, આથી ત્યાં માલ-સામાનની ખપત વધશે અને એ પહોંચાડવા પાછા વધુ મજૂરો જોઇશે. હાલની તકે રોપવેમાં માત્ર યાત્રાળુઓ માટે જ મંજૂરી મળી છે. માલ-સામાન માટે મંજૂરી નથી મળી. ગિરનાર પર સામાન પહોંચાડતા મજૂરોની માગ વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને અંબાજીથી જૈન દેરાસર અને અંબાજીથી ગુરુ દત્તાત્રેય વચ્ચેનો ટ્રાફિક ખૂબ જ વધી જશે એવી શક્યતા છે.
રોપવે માટે ટિકિટના દર નક્કી થઇ ગયા છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 700, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. રોપવે લાગી જવાથી એના દ્વારા વાર્ષિક રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રખાયું છે.