![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/હવામાન-સ્વચ્છ-થવાની-સાથે-સાથે-02.jpg)
હવામાન સ્વચ્છ થવાની સાથે-સાથે ગરમીનું પ્રમાણ પણ વધવા લાગશે
રાજ્યમાં હવે ધીમે-ધીમે શિયાળો વિદાય: તરફ આગળ વધી રહ્યો છે અને ઉનાળાએ દસ્તક દીધી છે. તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે અને બપોરે ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ હવે ધીમે ધીમે હવામાન સ્વચ્છ થવાની સાથે-સાથે ગરમીનું પ્રમાણ પણ વધવા લાગશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉનાળાની કાળઝાળ ગરમી અને આવનારા ચોમાસાને લઈ સૌથી મોટી આગાહી કરી દીધી છે. અલનીનો નબળું પડતાં તેની ચોમાસા ઉપર શું અસર પડશે તેત્રે લઈ પણ અંબાલાલ પટેલે મોટી વાત કરી છે. રાજ્યમાં ચાલુ વર્ષે કયા મહિનામાં ગરમીનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચશે તેણે લઈ પણ મોટી વાત કરી દીધી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, હવે શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે તો બીજી તરફ મહત્તમ તાપમાન વધી રહ્યું છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય છે પણ બપોરે ગરમી અનભવાઈ રહી છે. હાલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ હવે હવામાન ચોખ્ખું થઈ જવાનું છે અને ધીમે ધીમે ગરમીનો પારો પણ ઊંચકાવવાનો છે. તેમણે કહ્યું , ૧૯મી ફેબ્રુઆરી પછી ગરમીનું પ્રમાણ વધવા લાગશે અને ગરમીનો પારો ૩૪ ડીગ્રી સુધી પહોંચી જશે. ધીમે ધીમે ગરમી વધશે અને માર્ચમાં પારો ૪૦ ડીગ્રીએ પહોંચી જશે. આ સિવાય એપ્રિલ મહિનામાં ગરમીનો પારો ૪૪ ડીગ્રીને આંબી શકે છે. આ વર્ષે સૌથી વધારે ગરમી પડી શકે છે અને લોકો હેરાન પરેશાન થઈ શકે છે. ચોમાસા અંગે તેમણે કહ્યું કે, અલનીનો નબળું પડતાં ચાલુ વર્ષે ચોમાસું સારા રહેવાના સંકેત મળી રહ્યા છે. ખાસ કરીને મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો પ્રેશર ઊભું થઈ શકે છે અને જેના કારણે ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતાં વહેલું આવી શકે છે.