જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં વધુ એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બુધવારે વધુ એક આતંકવાદી માર્યો ગયો હતો. લશ્કર-એ-તૈયબાની શાખા TRFના ટોચના કમાન્ડર બાસિત દારને સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયાના એક દિવસ બાદ થયું છે. ડાર સુરક્ષા એજન્સીઓની ‘મોસ્ટ વોન્ટેડ લિસ્ટ’માં હતો અને તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું.
આ મામલાને લઈને કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે તે પોલીસ કર્મચારીઓ અને નાગરિકોની હત્યાના 18 થી વધુ કેસમાં સામેલ છે. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવારે મોડી રાત્રે કુલગામના રેડવાની વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ત્રીજો આતંકી પણ માર્યો ગયો
આ ઓપરેશન મંગળવારે પણ ચાલુ રહ્યું, જેના પગલે ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. બુધવારે આ વિસ્તારમાં આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો અને ત્રીજો આતંકી પણ માર્યો ગયો હતો. ત્રીજા આતંકીની ઓળખ મોમીન મીર તરીકે થઈ હતી. બાસિત દાર મંગળવારે તેના એક સહયોગી સાથે માર્યો ગયો હતો, જ્યારે મીર સુરક્ષા દળોથી બચીને ઘરના ઉપરના માળે છુપાઈ ગયો હતો.
સુરક્ષા દળોએ બુધવારે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું અને અંતે ત્રીજા આતંકીને ઠાર માર્યો. દરમિયાન, શનિવારે ભારતીય વાયુસેનાના કાફલા પરના હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ પૂંચ અને રાજૌરી જિલ્લામાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે. આ હુમલામાં કોર્પોરલ રેન્કના એક કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો.