નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યૂસેક સુધી પાણી છોડાવાની જાહેરાતને પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આજે સાંજે 5 વાગ્યાથી 5થી 8 લાખ ક્યૂસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લા કલેક્ટરે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કર્યાં છે. ભરૂચ જિલ્લાના નર્મદા નદી કાંઠાના 500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવશે. આ ઉપરાંત માછીમારોને નદીના પટમાં માછીમારી કરવા માટે ન જવાની પણ કલેક્ટરે સૂચના આપી છે.
નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 3.65 લાખ ક્યૂસેક પાણીને કારણે આજે સાંજ સુધીમાં ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે પણ નર્મદા નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ નર્મદા ડેમમાંથી સાંજે 5 વાગ્યાથી 5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવનાર છે. જેને વધારીને 8 લાખ ક્યૂસેક સુધી લઇ જવામાં આવી શકે છે. તેને જોતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા કલેક્ટરે જાહેર કરેલા પત્રમાં જણાવ્યું છે કે, અસરગ્રસ્ત ગોમામાં તાત્કાલિક જાગૃતિ ફેલાવવી અને માછીમારોએ નદીના પટમાં મારીમારી કરવા માટે ન જવાની સૂચનાઓ આપી દેવાની રહેશે અને જરૂર જણાય ત્યાં તાત્કાલિક સ્થળાંતર કરાવવા અને જરૂર જણાય તો અગમચેતીના તમામ પગલા લેવા જણાવવામાં આવે છે.
ભરૂચ SDM એન.આર.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, નર્મદા નદીમાંથી પાણી છોડવાને કારણે શુકલતીર્થથી ભાડભૂત અને આલિયાબેટ સુધી લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નર્મદા નદી કાંઠાના લોકોને સ્થળાંતર કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલ 500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.