મહીસાગર નદી પર 308 કરોડના ખર્ચે 9 કિ.મી. લંબાઇનું નદી જળ સરોવર બનશે

ગુજરાત
ગુજરાત

રાજ્ય સરકારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામ નજીક મહી નદીમાં આશીર્વાદ સમાન આડબંધ(વિયર)ના નિર્માણની સિંચાઇ વિભાગની દરખાસ્તને 5 માર્ચે મંજૂરી આપી દીધી છે. અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બહુવિધ લાભો આપનારા પોઇચા વિયરના નિર્માણની સૂચિત દરખાસ્તને 30 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. આ વિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદાર તેમના ક્ષેત્રને આ પ્રકારના આયોજનનો લાભ મળે તે માટે પ્રયત્નશીલ હતાં, જેમના પ્રયાસને આ મંજૂરીથી સફળતા મળી છે.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને જિલ્લા પ્રશાસન મહી કાંઠાના પ્રવાસધામ લાંછનપુરમાં નદીના ધરાને લીધે થતાં ડૂબવાના અકસ્માતોની સમસ્યાના નક્કર ઉકેલની શોધમાં હતા. આ વિયર લોકોની સલામતીને લગતી આ સુચિંતાનું નિરાકરણ આણશે એવી ઉજળી સંભાવના છે.

પોઇચા કનોડા ગામે મહી નદીમાં નદીના તળથી 5 મીટર ઊંચાઇનો વિયર બાંધતા ઉપરવાસમાં અંદાજે 9 કિમી લંબાઈનું નદી જળ સરોવર રચાઈ શકે તેવી જાણકારી આપતાં વડોદરા સિંચાઇ વર્તુળના કાર્યપાલક ઇજનેર વિઠ્ઠલસિંહ બી.પરમારે જણાવ્યું હતું કે, આ આયોજન મહી કાંઠાના સાવલી તાલુકાના 34 ગામો અને આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 15 ગામો મળી કુલ 49 ગામોને સિંચાઇ અને ભૂગર્ભ જળ ભંડારમાં વૃદ્ધિ તથા કુવાઓના જીવંતિકરણ(રિચાર્જ) ના લાભો આપી શકે છે. આમ, આ મોટો આડબંધ આશીર્વાદનો આડબંધ બને તેવી ઉજ્જવળ શક્યતાઓ છે.

રાજ્ય સરકાર દ્વારા તેના નિર્માણ માટે અંદાજે રૂ. 308 કરોડ કરતાં વધુ રકમના સૂચિત ખર્ચને અનુમોદન આપ્યું છે. તેના પગલે સૂચિત સ્થળે મહી નદીમાં પાયાની ચકાસણી માટે ડ્રીલિંગ કરી, તેના આધારે આ સ્ટ્રકચરની ફાઇનલ ડિઝાઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ પ્રાથમિક આલેખન કરવામાં આવ્યું હતું જેના આધારે મંજૂરી મળી છે.

7200 હેકટર જેટલી જમીનને સિંચાઇની સુવિધા મળતા ખેતી સુધરશે

આ આયોજનથી નદીના બંને કાંઠે 4 કિમીથી વધુ પહોળાઈમાં ભૂગર્ભ જળ ભંડાર વધશે. તેનાથી સીધી અને આડકતરી રીતે 7200 હેકટર જેટલી જમીનને સિંચાઇની સુવિધા મળતા ખેતી સુધરશે.

49 જેટલા ગામોના 400થી વધુ કૂવા જીવંત થવાની આશા

સિંચાઇ વિભાગ આ વિયરથી 49 જેટલા ગામોના 400થી વધુ કૂવા જીવંત થવાની આશા સેવે છે, જેનો ખેતીને લાભ મળશે. મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહિત થશે અને પશુપાલનને વેગ મળશે. આ ઉપરાંત સાવલીનગર અને આસપાસના 40 જેટલા ગામોની 50 હજાર જેટલી વસ્તી માટે અને ઉદ્યોગોમાં વપરાશ માટે પીવાના પાણીની યોજના બનાવી શકાશે. તેનાથી અંદાજે 38.50 લાખ ચોરસ મીટરનું જળ સરોવર રચાઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.