વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આદિવાસી કુંવારિકાઓ દ્વારા 1100 દિવડાની આરતી કરવામાં આવી
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં 1100 દિવડાની આરતી આદિવાસી કુંવારિકાઓ દ્વારા કરવામાં આવી હતી. આદિવાસી આશ્રમ શાળાઓની બાળાને આ વર્ષે અંબાજીની મહાઆરતીનો લાભ મળ્યો હતો. આદિવાસી આશ્રમ શાળાઓની કન્યાઓએ આઠમના 1100 દિવડાની આરતીનો સંકલ્પ કર્યો હતો. માતાજીની ભવ્ય આરતી કરનાર બાળકીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેવડિયા કોલોનીના કાર્યક્રમ માટે પણ પસંદગી પામી હતી. આઠ દિવસમાં શક્તિપીઠ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આજે છેલ્લા દિવસે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી.
આ આરતી કેવડીયા કલોની ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પણ કરાઈ હતી. ત્યારથી આ મજુર કલ્યાણ ટ્રસ્ટ આદીવાસી આશ્રમ શાળાની ધોરણ 6થી 8 માં અભ્યાસ કરતી કન્યાઓએ સંકલ્પ લીધો હતો કે, દુર્ગાષ્ટમીએ 1100 દિવાની આરતી અંબાજી મંદિરના ચાચર ચોકમાં કરશે. આઠમા નોરતે દુર્ગાષ્ટમીની રાત્રીએ માતાજીના ચાચરચોકમાં આદિવાસી આશ્રમ શાળાની કન્યાઓ દ્વારા આરતી કરી માતાજીની આરાધના કરાઈ હતી. સાથે ગરબા પણ કરવામાં આવ્યા હતા. માતાજીના ચોકમાં 1100 દીવડાની આરતી માથે ઉપાડી કન્યાઓ બહુ જ ખુશ જોવા મળી હતી. મા દુર્ગાનું રુપ તેમને બનાવ્યું હતું જે ચાચર ચોકમાં ઉપસ્થિત યાત્રિકોમાં આકર્ષણનો કેન્દ્ર બન્યુ હતુ.