![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/attack-1.png)
ગુજરાતમાં 6 મહિનામાં હાર્ટ એટેકના કારણે 1052 લોકોના મોત, મૃત્યુ પામેલાઓમાં 80% 11-25 વર્ષની વયના યુવાનો
ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 1,052 લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે.નોંધનીય છે કે આમાંના 80 ટકા લોકો 11 થી 25 વર્ષની વયના હતા. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ગયા શુક્રવારે ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 108 નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ 173 કાર્ડિયાક ઈમરજન્સી કોલ આવે છે.
મંત્રીએ કહ્યું કે જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને યુવાનોનો સમાવેશ થાય છે. આ લોકોમાં સ્થૂળતાના કોઈ ચિહ્નો જોવા મળ્યા નથી. મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે આ કેસોને ધ્યાનમાં રાખીને, લગભગ બે લાખ શાળાના શિક્ષકો તેમજ કોલેજના પ્રોફેસરોને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR)ની તાલીમ આપવામાં આવશે. મંત્રીએ એમ પણ કહ્યું કે, કોરોના રોગચાળા બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે, ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં આ લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે.
મંત્રીએ કહ્યું કે છેલ્લા છ-સાત મહિનામાં ક્રિકેટ રમતા કે ગરબા કરતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં, હું તમામ શિક્ષકોને વિનંતી કરું છું કે તેઓ CPR તાલીમ શિબિરમાં ભાગ લે, જેથી તેઓ સાથે મળીને લોકોનો જીવ બચાવી શકે. મંત્રીએ કહ્યું કે રાજ્યના શિક્ષણ વિભાગની પહેલ હેઠળ, લગભગ બે લાખ શાળા અને કોલેજના શિક્ષકોને તાલીમ આપવા માટે 3 થી 17 ડિસેમ્બરની વચ્ચે 37 મેડિકલ કોલેજોમાં CPR તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પમાં આશરે 2,500 તબીબી નિષ્ણાતો અને ડોકટરો ઉપસ્થિત રહેશે અને સહભાગીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે.
શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે રાજ્યમાં અગાઉ પણ ભાજપના કાર્યકરો અને પોલીસકર્મીઓને આવી તાલીમ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે શિક્ષકો બાદ NCC કેડેટ્સને પણ આ તાલીમ આપવામાં આવશે. જેથી કરીને તેમને સીપીઆર આપીને યુવાનોનો જીવ બચાવી શકાય.