૨૩ જૂનથી અમરનાથ તીર્થયાત્રા શરૂ થશે, ૩ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપન થશે
૨૩ જૂન, અષાઢ મહિનાની બીજથી અમરનાથ યાત્રા શરૂ થશે. તેનું સમાપન ૩ ઓગસ્ટ, ૨૦૨૦ રક્ષાબંધનના રોજ થશે. જમ્મૂ અને કાશમીરના ઉપરાજ્યપાલ અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ ગિરીશ ચંદ્ર મુર્મૂએ જમ્મૂમાં આયોજિત ૩૭મી બોર્ડ બેઠકમાં આ ત્રણ તારીખની જાહેરાત કરી છે. દર વર્ષે ચોક્કસ સમયગાળા માટે શિવજીની આ ગુફાને દર્શન માટે ખોલવામાં આવે છે. દર વર્ષે અષાઢી પૂનમથી રક્ષાબંધન સુધી શ્રદ્ધાળુઓ અહીં બાબા અમરનાથના દર્શન માટે પહોંચે છે.આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા ૨૧ જૂનના રોજ છે, પરંતુ તે દિવસે સૂર્યગ્રહણ રહેશે. આ કારણે અમરનાથ દર્શન બે દિવસ બાદ ૨૩ જૂનથી શરૂ થશે. જોકે, હાલ અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી તેને લઇને કોઇ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. વર્ષ ૨૦૧૯માં કાશ્મીરમાંથી અનુચ્છેદ-૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યો હોવાથી આ યાત્રા અધવચ્ચે જ મોકૂફ રાખી દેવામાં આવી હતી. જેના લીધે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ પરત ફર્યા હતા. આ વખતે યાત્રાને લઈ વિશેષ વ્યવસ્થા કરવા પર ભાર આપવામાં આવ્યો છે.