રાજ્યમાં હેલ્મેટને લઈને સૌથી મોટા સમાચાર, ગુજરાતના પરિવહન મંત્રી R.C. ફળદુનું મોટું નિવેદન
ગુજરાત સરકારે પાલિકા- પંચાયતોની ચૂંટણીઓને ધ્યાને રાખી ‘શહેરોમાં હેલમેટ મરજીયાત’ શબ્દ વાપરીને માર્ગ સલામતીના કાયદામાંથી છુટછાટ આપી હતી. પરંતુ તેના થોડા દિવસ બાદ હેલ્મેટ અંગે ખુલાસો કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે,પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.
આ મામલે આજે ફરીથી રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ હેલમેટના કાયદા અંગે વાહનવ્યવહાર મંત્રીએ ગોળગોળ જવાબ આપ્યો છે, તો બીજી બાજુ કેન્દ્ર સરકારની એડવાઈઝરી મુદ્દે ફળદુએ મૌન સેવ્યું છે. આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, હેલમેટના કાયદા અંગે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કામ થશે. આ અંગે અમે કેન્દ્ર સરકારને રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે અંતિમ ગણાશે. પરંતુ રોડ સેફ્ટી કાઉન્સિલને જવાબ મુદ્દે ફળદુએ બોલવાનું ટાળ્યું હતું.
થોડા દિવસ પહેલા રાજ્યના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે બનાવેલી રોડ એન્ડ સેફ્ટી કાઉન્સિલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. જો રાજ્યમાં આ કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે.
જો કે, મોટર વ્હિકલ એક્ટમાં રાષ્ટ્રપતિની સહી વગર કોઈ ફેરફાર શક્ય નથી. આ સંદર્ભે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીએ સોમવારે રાજ્યોને એડવાઈઝરી મોકલી છે. સ્થિતિ સ્પષ્ટ થતા હેલમેટ મુક્તિ તો દુર રહી પણ દંડમાં ઘટડાની સત્તા પણ ગુજરાત સરકાર પાસે નથી, આ સંજોગોમાં ગુજરાત સરકાર હવે નવી કઈ છટકબારી શોધે તે જોવુ રહ્યું.
ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીએ આપેલી માહિતી મુજબ સંસદે મોટર વ્હિકલ એક્ટ- ૨૦૧૯ને મંજૂર કર્યો છે. તેના ઉપર રાષ્ટ્રપતિની મહોર વાગી ચૂકી છે. આથી હવે તેમાં ફેરફાર માટે કોઈપણ રાજ્ય પાસે અધિકાર નથી. આ સ્પષ્ટતા સાથે કાયદાના ચૂસ્ત અમલ માટે રાજ્યોને સોંપાયેલી એડવટાઝરીથી ગુજરાતમાં હેલમેટ મુક્તિનો નિર્ણય ભાજપ સરકાર માટે એક રીતે ઊંબાડિયું સાબિત થયો છે.
ભારત સરકારે ગતવર્ષે ૧લી સપ્ટેમ્બરે નવા રૂલ્સ અમલમાં મુક્યા બાદ ટ્રાફિક ભંગના દંડમાં ગુજરાત સરકારે ૧૦ સપ્ટેમ્બરે માંડવાળ ફીના દરો જાહેર કર્યા હતા. ત્યાર પછી હેલમેટના અમલ મુદ્દે વારંવાર યુ-ટર્ન લીધા બાદ ૪થી ડિસેમ્બરે સરકારે ગુજરાતના શહેરોમાં નાગરીકોને હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી.