રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં ચાર બાળકોનાં મોત થતા હાહાકાર
રાજસ્થાન બાદ ગુજરાતમા બાળકોના મૃત્યુના આકંડા સામે આવતા સરકારની આરોગ્ય સેવાઓની ડંફાસોની પોલ ખૂલી જવા પામી છે. છેલ્લા ૧૦ મહિનામાં રાજ્યમાં ૧૫૧૧૭ બાળકોના મૃત્યુ થયાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અને આ આંકડો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલો આંકડો છે. ગુજરાત જેવા વિકાસશીલ, પ્રગતિશિલ અને વાયબ્રન્ટ ગણાતા રાજ્ય માટે આ અત્યંત દૂઃખદ અને શરમજનક આંકડો કહેવાય. રાજ્ય સરકાનું આરોગ્યની સેવાઓ માટેનું રૂપિયા ૧૧ હજાર કરોડનું બજેટ બાળકોને જીવનદાન આપવામાં નિષ્ફળ ગયુ છે. શેહરી વિસ્તાર હોય કે હોય ગ્રામિણ વિસ્તાર બાળકોના મૃત્યુ રોકવામાં સમગ્ર આરોગ્ય વિભાગ ફેલ ગયુ હોવાનું આ આંકડાઓ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
ત્યાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુને મોતનો સિલસિલો યથાવત છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા ૧૨ કલાકમાં ૪ શીશુઓના મોત નિપજ્યા છે. અને વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે મીડિયાને પણ સિવિલ હોસ્પિટલમાં અંદર દાખલ થવા દેવામાં આવતું નથી. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બાળકોના મોતના મામલે સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકોના મોતના આંકડાની જાણ ન થવા દેવા આ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.