સુરતમાં પાલિકા અને પોલીસ કમિશનર લોકોને સમજાવવા રસ્તા પર ઉતર્યા
STD3uvqxdmw
સુરતીઓ ઠેર ઠેર પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા
સુરતઃ શહેરમાં ૪ કોરોના વાઈરસના પોઝિટિવ કેસ અને વૃદ્ધનું મોત થયું છે. કોરોનાના વધી રહેલા પ્રકોપના કારણે તેકેદારીના ભાગ રૂપે સુરત શહેરને ૨૫ માર્ચ સુધી બંધ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. જોકે, લોકો સવારથી રસ્તા પર નીકળી પડ્યા છે. જેથી પોલીસ અને પાલિકા કમિશનર શહેરના રાઉન્ડ પર નીકળ્યા છે અને લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહ્યા છે. જોકે, અડાજણ, રાંદેર અને પાલ સાથે જોડતા તમામ બ્રીજ ઉપર વાહન વ્યવહાર બંધ કરેલ જે દરમ્યાન સુરતીઓ ઠેર ઠેર પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.
આવશ્યક વસ્તુ અને સેવામાં આવતી સંસ્થાને ચાલુ રાખવામાં આવી છે. ગત રોજ જતના કર્ફ્યુને લઈએ લોકો સવારે સાતથી રાતના ૯ વાગ્યા સુધી ઘરમાં રહ્યા હતા. જોકે, ત્યારબાદ કેટલાક વિસ્તારમાં લોકો બહાર નીકળ્યા હતા. પોલીસ દ્વારા પણ ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી હતી. જોકે, આજે સવારે ફરી લોકો બહાર નીકળ્યા હતા. ઈમરજન્સી કામ માટે જતા લોકોને જવા દેવામાં આવ્યા હતા. જ્યારે અન્યોને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. દરમિયાન મહિધરપુરા હીરા બજાર પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે અને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જનતા કર્ફ્યૂ રવિવારે હતું ત્યાર બાદથી તારીખ ૨૫મી સુધી કર્ફ્યુ જારી જ છે. તેમાં પાલિકાના આવશ્યક સેવાઓ સિવાય જેવી કે, તમામ સોના, ચાંદીની દૂકાનો, શોરૂમો, કાપડ દૂકાનો, તમામ પાનના ગલ્લા, ચાની દુકાનો-કિટલીઓ, ખાણીપીણી લારીઓ, તમામ સલુનો બંધ રાખવાના રહેશે. જ્યારે જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો, સંસ્થાઓ જેવી કે, અનાજ કરિયાણા, શાકભાજી, ફળફળાદી, દુધ દુધની બનાવટો તથા મેડીકલ સ્ટોર્સ ચાલુ રહેશે.પાલિકા કમિશનરે કહ્યું હતું કે, આ માહામારીમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. તેઓ તમામને આ ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે. જેને લઈ અપીલ કરવી પડે છે.
આ સાથે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા સુરતનો મોટા ઉદ્યોગ એટલે હીરા ઉધોગ ને પણ ૩૧ તારીખ સુધી બંધ રાખવા અપીલ કરાઈ છે. કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાતા અપીલ કરાઈ હોવાનું જણાવ્યું છે. જેને લઈ હીરા બજાર અને હીરાના કારખાનાં ૩૧ માર્ચ સુધી બંધ રાખવા એસોસિએશન એ નિર્ણય લીધો છે.