![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/441rakhewal.jpg)
સાંતલપુર નજીક ઇકો અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત, ૪થી વધુના મોત
સાંતલપુર નજીક ઇકો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પ્રાથમિક તપાસમાં ઇકોમાં બેઠેલા ચારથી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. દ્રશ્યો જોતાં ચોંકાવનારો અને ભયાનક અકસ્માત હોઇ હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો છે. આ દરમ્યાન ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં રાહત બચાવ કામગીરી માટે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
પાટણ જીલ્લાના સાંતલપુર-રાધનપુર નજીક બાબરા પાટીયા પાસે માર્ગ અકસ્માત ગમખ્વાર ઘટના સામે આવી છે. આજે બપોરે ઇકો અને ટ્રેલર વચ્ચે ઘડાકાભેર ટક્કર થયા બાદ ઘટનાસ્થળે જ ચારથી વધુના મોત થયા હોવાનું મનાઇ રહ્યુ છે. અકસ્માત એટલો બધો બિહામણો છે કે, ઇકોમાં સવાર મુસાફરો સહિતના દ્રશ્યો કંપાવી રહ્યા છે. અકસ્માતને પગલે ઇકો કાર જાણે છુંદો થઇ ગઇ હતી. જેમાં એક વ્યક્તિના માથાના ભાગે પણ ઇકો કારના સ્પેરપાર્ટસ ઘુસી ગયા હોવાનું દ્રશ્યોથી સામે આવ્યુ છે.
બપોરના સમયે હાઇવે પર ઇકો અને ટ્રેલર ચાલક પૈકી કોઇની ભુલ હોઇ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કાર રોટલા સમાન બની ગઇ હોઇ લગભગ કોઇનું બચવું અત્યંત મુશ્કેલ હોવાનું મનાય છે.
અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર કલાકો સુધી વાહનવ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. હાઇવે પર અકસ્માતને પગલે મૃતદેહોની સ્થિતિ જોઇ પસાર થતાં અન્ય વાહનચાલકો અને મુસાફરોની માનસિક સ્થિતિ અસરગ્રસ્ત બનવા તરફ છે.