વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. માઈભક્તો પગપાળા માં અંબાના દર્શન માટે આવી રહ્યા છે, તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસ. ટી. નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘરે ગુજરાત એસ. ટી. નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર સુદૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા અંદાજિત 5500 જેટલી બસો મુકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે.
વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસ. ટી. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતાં વિભાગીય નિયામક વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તા.૦૧ સપ્ટેમ્બર થી ૦૭ સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિમંતનગર અને અમદાવાદ એમ ૪ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંદાજે ૫૫૦૦ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ૨૪ કલાક એસ.ટી. વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ માટે અલગ અલગ ૧૦ બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસ. ટી. વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈપણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.


