જિલ્લાના વિવિધ તાલુકાના સ્થળો પર ખરીદી કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
માર્કેટયાર્ડમાં મગફળીના ઓછા ભાવ વચ્ચે ટેકાના ભાવે ખેડૂતો ને યોગ્ય ભાવ મળવાની આશા જાગી
રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત બાદ ૯ નવેમ્બર એટલે કે રવિવારથી સમગ્ર જિલ્લામાં મગફળીની ખરીદી કેન્દ્ર શરૂ થયા છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવતાં ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ખરીદી પ્રક્રિયાના પ્રારંભે પ્રથમ તબક્કામાં 11 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી, જે ખેડૂતો મગફળી લઈને ખરીદી સેન્ટર પર પહોંચ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના વિવિધ સેન્ટરો પર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ થતાં સંઘ માર્કેટ યાર્ડ અને વિવિધ સહકારી આગેવાનો ઉપસ્થિત રહી ખેડૂતો દ્વારા એકબીજાને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને મગફળીની ટેકાભાવે ખરીદીનો શ્રીગણેશ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને ટેકાના ભાવે સારો ભાવ મળતા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોને યોગ્ય ટેકો મળે તે માટે સરકાર અને સંઘ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોનો વિશ્વાસ વધે અને કૃષિ ક્ષેત્ર મજબૂત બને તે માટે આ પહેલને ખેડૂતો દ્વારા સરાહના મળી રહી છે.

