ભાપી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આધ્યાત્મિક ઉર્જા અને સંતો-મહંતોના આશીર્વાદ સાથે થરાદ પંથકમાં લોકોની સુખાકારી માટે અનેક વિકાસના કાર્યોને વેગ મળ્યો છે. આધ્યાત્મિકતા એ સનાતન સંસ્કૃતિની ધરોહર છે. અનેક વિદેશી આક્રમણો પછી પણ સનાતન સંસ્કૃતિ શાશ્વત રહી છે. સેવા પરમો ધર્મની ભાવના સાથે અનેક સંતોએ આ ભૂમિ માટે સારા કાર્યો કર્યાં છે.
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગંગાસતીના ભજન વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ વાક્યના દ્રષ્ટાંત સાથે જીવન આધ્યાત્મિકતા વિશે વાત કરી હતી. તેમણે ભક્તિ,કર્મ અને જીવન વિશે વાત કરી હતી. જીવનમાં પરોપકારના ભાવ સાથે બીજાના ભલા માટે કામ કરીએ તો જીવન ધન્ય અને સાર્થક બને છે. આદિ શંકરાચાર્ય થી લઈને અનેક સાધુ સંતોએ સનાતન સંસ્કૃતિ માટે કામ કર્યું છે. દયાના ભાવ સાથે મનુષ્યે સત્કાર્યો કરવા જોઈએ. આ વિસ્તારના ખેડૂતો માટે પાણી સહિતની સુવિધાઓ ઉભી કરી શક્યા તેનો સંતોષ છે. થરાદ વિસ્તારના લોકોની સુખાકારી માટે નિમિત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નવો જિલ્લો હોય કે પછી અનેકવિધ વિકાસના કાર્યો હોય થરાદને અગ્ર હરોળમાં લાવવા સરકાર પણ કટિબધ્ધ છે.
થરાદના ભાપી ખાતે અનેક સંતો, મહંતો અને મહાનુભાવોની હાજરીમાં ત્રી દિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પૂજન-આરતી, મંદિર વાસ્તુ, હોમ કર્મ, પગલા પધરામણી, હવન, પ્રાણ પ્રતિષ્ઠા, સંતોના મુખારવિંદથી દિવ્ય વાણીનું પ્રવચન, માનપુરી બાપુ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો, દિવ્ય ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ ઐતિહાસિક મહોત્સવમાં ગુજરાતના વિવિધ મંડળોના સંતો પધાર્યા હતા.