કોરોના રસી બાદ યુવાનોમાં હૃદય રોગનો વધતો વ્યાપ ચિંતાનો વિષય
ડીસા તાલુકાના આસેડા ગામમાં હીરા ઘસવાનો વ્યવસાય કરતા રત્ન કલાકાર અભુજી ગંભીરજી બુકોલીયા (રહે. આસેડા) નું આજે બપોરે હાર્ટ એટેકથી કરુણ નિધન થયું છે. તેઓ આસેડા ગામમાં આવેલી હીરાની ઘંટી પર રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. આજે બપોરે તેઓ ઘંટી પર હીરા ઘસી રહ્યા હતા તે દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા. બાજુમાં બેઠેલા અન્ય કારીગરો આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા. તાત્કાલિક તેમને આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અભુજીના નિધનથી તેમના મિત્ર વર્તુળ, પરિવારજનો અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અભુજીના નિધન સાથે જ ફરી એકવાર યુવાનોમાં વધતા હૃદય રોગના કિસ્સાઓ ચર્ચાનો વિષય બન્યા છે. સામાન્ય રીતે એવી ફરિયાદો વધી રહી છે કે કોરોનાની રસી લીધા બાદ નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધ્યું છે. હાલમાં નાની ઉંમરના લોકો, જેઓ નિયમિત યોગ કે કસરત કરતા હોય અથવા તો રમતવીરો હોય, તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા હોવાના કિસ્સાઓ અવારનવાર જોવા મળી રહ્યા છે. એક અત્યંત ચિંતાજનક અને ગંભીર વિષય છે જેના પર ત્વરિત ધ્યાન આપવું અનિવાર્ય છે.

