![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/11/Untitled-9.png)
સરકારની આ યોજના હેઠળ જૂની કાર ભંગારમાં આપી નવી કારની ખરીદી પર થશે મોટો ફાયદો!
જો તમે તમારી જૂની કારને ભંગારમાં આપો તો પછી નવી કારની ખરીદી પર તમને મોટો ફાયદો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ ઓટો ઇન્ડસ્ટ્રીએ જૂના વાહનોને સ્ક્રેપ કરી નવી કારની ખરીદી પર 1 ટકા સુધીની છૂટ આપવાના કેન્દ્રના પ્રસ્તાવ પર સંમતિ દાખવી છે. કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા જ આ પ્રસ્તાવને રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ હેઠળ કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ભંગાર થયેલ વાહનોની સંખ્યા ઘટાડવાનો છે. આ ભલામણ કેન્દ્રીય સડક પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા સોસાઇટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ સાથેની એક મીટિંગમાં કરવામાં આવી હતી. જોકે, આ મીટિંગમાં 1 ટકાની જગ્યાએ 3 ટકા છૂટ આપવાની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ ઓટો કંપનીઓ 1 ટકા છૂટ આપવા તૈયાર થઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઓટો કંપનીઓ આ ફેસ્ટિવ સીઝન દરમિયાન આ નીતિને ત્વરિત ધોરણે લાગૂ કરવાના પક્ષમાં નથી. કારણ કે કોરોના મહામારીના કારણે લોકડાઉનથી માર્જિન પહેલાથી જ ઓછું છે. તેથી જો આ નીતિ ત્વરિત ધોરણે લાગૂ કરવામાં આવશે તો ઓટો સેક્ટર બિઝનેસને માઠી અસર થઈ શકે છે. જોકે, હાલ પણ જૂના વાહનો અંગે શું નીતિ છે તે સ્પષ્ટ નથી. તેથી પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનોને લઈ અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે હવે આ નવી નીતિ પર પીએમઓની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.