રેસકોર્સ મેદાન ખાતે વિશાળ પ્રાર્થના સભા યોજાશે! તારીખ અને સમય હવે પછી જાહેર થશે – રૂપાણી પરિવાર
DNA મેચ બાદ પાર્થિવ દેહ રાજકોટ લવાશે : ભાજપના નેતાઓએ અંતિમવિધિ અને પ્રાર્થના સભાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાન બાદ, તેમની અંતિમયાત્રા અને વિશાળ પ્રાર્થના સભાની તૈયારીઓ રાજકોટ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા બાદ તેમનો પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવશે. ત્યારબાદ, તેમના રાજકોટ સ્થિત નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. અને અંતિમવિધિ રામનાથપરા સ્મશાન ખાતે કરવામાં આવશે. આ અંતિમયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને સામાન્ય જનતા જોડાશે તેવી અપેક્ષા છે. આ અંગેની વ્યવસ્થા માટે આજે ભાજપના સ્થાનિક નેતાઓએ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. અને અંતિમયાત્રાના આયોજન અંગે વિગતવાર ચર્ચાઓ કરી હતી.
રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય પ્રાર્થના સભાનું આયોજન
વિજયભાઈ રૂપાણીની દિવંગત આત્માની શાંતિ માટે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે એક વિશાળ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રાર્થના સભામાં વિજયભાઈ પ્રત્યે આદર અને માનની લાગણી દર્શાવવા સૌરાષ્ટ્ર અને દેશભરમાંથી મોટી સંખ્યામાં નેતાઓ- પ્રધાનો- અગ્રણીઓ અને આમ જનતા ઉમટી પડેશે. પ્રાર્થના સભાની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે.
આજે શહેરના ઝોન-2 ડીસીપી જગદીશ ભાંગરવા, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રેસકોર્સ મેદાનની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાર્થના સભા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી અને ચુસ્ત પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં આ શોકાંજલિ કાર્યક્રમ સંપન્ન થઈ શકે.રૂપાણી પરિવારના જણાવ્યા અનુસાર અંતિમયાત્રા અને શોક સભાની તારીખ અને સમય હવે પછી જાહેર કરવામાં આવશે. : પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

