બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ડીએનપી કોલેજને અડીને અભય સોસાયટીની પાસે આવેલો એક સમયનો ઐતિહાસિક બંગલો આજે ખંડેર હાલતમાં ઊભો છે. આ બંગલો અંગ્રેજો દ્વારા 1827 માં અંદાજે 200 વર્ષ અગાઉ જ્યારે અંગ્રેજ શાસકોએ ડીસા (કોપ) ખાતે પોતાની લશ્કરી છાવણી સ્થાપી હતી. તે સમયગાળા દરમિયાન અંગ્રેજ અધિકારીઓના રહેઠાણ માટે બનાસ નદીના કાંઠે વસેલા ડીસામાં અનેક બંગલા બનાવવામાં આવેલા. તે પૈકીનો એક બંગલો છે. એક સમયે આ બંગલો અંગ્રેજ અધિકારીઓનું નિવાસસ્થાન હતો. જે ડીસાના અવિસ્મરણીય ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હવાઈ પીલ્લર અને હરિ મંઝિલ સહિતની અન્ય ઐતિહાસિક ધરોહરોની જેમ આ બંગલો પણ જાળવણીના અભાવે નાશ પામી રહ્યો છે. શહેરની મધ્યમાં આવેલી આ હેરિટેજ સમાન ઇમારત આજે પણ પોતાના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. અને હાલ તે ભૂતિયા બંગલા તરીકે ઓળખાય છે. પરંતુ સરકારનું ધ્યાન હજુ સુધી તેના તરફ ગયું નથી. પરિણામે, આ ઐતિહાસિક ઇમારત હવે ધીમેધીમે ખંડેર હાલતમાં ફેરવાઈ રહી છે અને તેના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે.
સ્થાનિક લોકો અને ઇતિહાસવિદો આ બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ બંગલો ડીસાના સમૃદ્ધ ઇતિહાસનો એક જીવંત પુરાવો છે.તેથી તેને સાચવવો ખૂબ જ જરૂરી છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો, આ ઐતિહાસિક ધરોહર કાયમ માટે નાશ પામી જશે.સરકાર અને સંબંધિત વિભાગોએ આ બાબતને ગંભીરતાથી લઈને આ ઐતિહાસિક બંગલાની જાળવણી માટે તાત્કાલિક યોજના બનાવવી જોઈએ. આ માત્ર એક ઇમારત નથી, પરંતુ ડીસાના ભવ્ય ભૂતકાળની એક કડી છે, જેને સાચવીને આપણે આવનારી પેઢીને આપણા ઇતિહાસથી વાકેફ રાખી શકીશું.