દુકાનદારોને અગ્નિ શામક સાધનો રાખવાનું સૂચન; લાખણી તાલુકાની ગેળા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયેદસર વિસ્ફોટક પદાર્થ અને ફટાકડા જેવી જીવલેણ સામગ્રી બાબતે દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ચર્ચિત ડીસા ફટાકડા વિસ્ફોટ કાંડ બાદ તંત્ર દ્વારા લાઇસન્સ વગર ચાલતી ફટકડા અને વિસ્ફોટક સામગ્રી ધરાવતી દુકાનો અને ગોડાઉન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે લાખણી તાલુકાના શ્રીફળીયા હનુમાન દાદાના મંદિરથી વિખ્યાત ગેળા ગામમાં સરપંચ અને તલાટી દ્વારા ગામની દરેક દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી અને દુકાનદારોને ફટાકડા જેવા વિસ્ફોટક સામગ્રી દુકાનમાં નહિ રાખવા સૂચના આપવામાં આવી હતી.
સરકારની સુચના મુજબ ગેળા ગ્રામ પંચાયતનાં સરપંચ હરજીભાઈ રાજપુત અને તલાટી કમ મંત્રી મયુરભાઈ મકવાણા દ્વારા દરેક દુકાન અને કારખાના ઉપર તપાસ કરી અગ્નિ શામક સાધનો રાખવા સૂચના આપવામાં આવી હતી. દરમ્યાન તાલુકા મથક લાખણીમાં આઇસીડીએસ વિભાગના આંકડા મદદનીશ એ.એમ.સોલંકી,રેવન્યુ તલાટી જે.એ. રાઠોડ, તલાટી મીનાક્ષીબેન ખત્રી દ્વારા પણ વિવિધ દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને દુકાનદારોને ફટાકડા કે અન્ય વિસ્ફોટક સામગ્રી ન રાખવાની તાકીદ કરી હતી.

