પાંચ કલાકની જહેમત છતાં આધેડ નો પતો ન લાગતા ફાયર ટીમ પરત ફરી; પાટણના સિદ્ધિ સરોવર પાસેથી એક આધેડના મોબાઈલ અને ચંપલ મળી આવ્યા હોય પાલિકા એ આશંકા વચ્ચે સિધ્ધી સરોવર માં શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ શહેરના આબુવાળા ડેલામાં રહેતા ઠાકોર સમાજના આધેડ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા જેને લઈને સ્થાનિક યુવાનોએ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન તેમનો મોબાઈલ અને ચંપલ સિદ્ધિ સરોવર પાસેથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ બોટ દ્વારા સરોવરમાં શોધખોળ હાથ ધરી હતી. આધેડના પરિવારજનો અને વિસ્તારના લોકો પણ સિદ્ધિ સરોવર ખાતે એકત્રિત થયા હતા.
આ બાબતે વિસ્તારમાં રહેતા રહીશો એ જણાવ્યું કે મોબાઈલ અને ચંપલ સરોવર પાસે મળી આવવાને કારણે આધેડે સરોવરમાં કૂદી પડ્યા હોવાની આશંકા છે. પાંચ કલાક સુધી ચાલેલી શોધખોળ બાદ પણ આધેડનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને ફાયર ટીમ પરત ફરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સિદ્ધિ સરોવર આપઘાતનું કેન્દ્ર બની ગયું છે. અહીં વારંવાર લોકો જીવન ટૂંકાવવાના પ્રયાસ કરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવા બનાવો અટકાવવા પાલિકા દ્વારા નકકર કામગીરી હાથ ધરવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે.